ખેડા
વિશ્વભરમાં ફેલાયેલા લોહાણા સમાજ સાથે રાજકીય પક્ષો દ્વારા થઇ રહેલ અન્યાય સામે મજબૂત અવાજ ઉઠાવી લોહાણા સમાજની યુવા બ્રિગેડે ‘રઘુવંશી ક્રાંતિ મંચ’ની સ્થાપના કરેલ છે, ગયા મહીને ચોટીલા ખાતે પ્રથમ અધિવેશનમાં અનેક અગ્રણી આગેવાનોએ સમાજને સાથે રાખી, સમાજની સાક્ષીએ ન્યાયના હક્ક માટે લડી લેવા માટે શંખનાદ કર્યો હતો.
રવિવારે ખેડા જીલ્લામાં આવેલ નેનપુર જલારામ મંદિર ખાતે રઘુવંશી ક્રાંતિ મંચના મધ્ય ગુજરાત ઝોન દ્વારા એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી રઘુવંશી લોહાણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સૌએ એક સાથે, એક અવાજે લોહાણા સમાજને આગમી વિધાનસભાની ચૂંટણીમાં લોહાણા સમાજને વસ્તી આધારિત ન્યાય મળે તે માટે ભારે હોશ અને જાેશ સાથે સમાજને સંબોધન કરી આગામી ચૂંટણી માટે તૈયાર રહેવા હાકલ કરી હતી,
લોહાણા સમાજ અગ્રણી અને રઘુવંશી ક્રાંતિ મંચના રાષ્ટ્રીય પ્રમુખ ડો. ધર્મેશ ઠક્કરે પોતાની તેજાબી ભાષામાં રાજકીય પક્ષોને આડેહાથે લીધા હતા અને આગામી સમયમાં રાજકીય પક્ષો લોહાણા સમાજ સાથે પોતાનું વર્તન નહિ બદલે તો સમાજ આક્રમક બની, સંગઠિત બની જવાબ આપશે તેમ જણાવ્યું હતું. સાથે સમારોહમાં અતિથી વિશેષ તરીકે સૌરાષ્ટ્રના જસદણથી પધારેલ શ્રીમતી સોનલબેન વસાણીએ ભારે રોષ સાથે લોહાણા સમાજ સાથે રાજકીય પક્ષો દ્વારા થઇ રહેલ અન્યાય બાબતે રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં રાજકીય પક્ષો લોહાણા સમાજની વાત ધ્યાનથી ના સાંભળે તો સમાજના યુવાનોએ અને વડીલોએ સાથે મળી એક નવું યુદ્ધ લડી લેવું પડશે તેમ જણાવ્યું હતું. આ સિવાય અન્ય મહાનુભાવો શ્રી યોગેશ તન્ના, શ્રી મહેશભાઈ ઠકકર અને મહેશભાઈ નગદીયાએ પણ ગ્રામ પંચાયતથી લઇ લોકસભા સુધીની ચૂંટણીમાં લોહાણા સમાજને વસ્તી આધારિત ન્યાય અને તેનો હક્ક મળવો જાેઈએ તે માટે પ્રેરણા દાઈ સંબોધન કર્યું હતું. રઘુવંશી ક્રાંતિ મંચના મધ્ય ગુજરાતના પ્રમુખ શ્રી પરાગ ઠક્કર અને ઉપપ્રમુખ શ્રી હિરેન ઠક્કર (એન્જીનીયર), શૈલેષભાઇ ઠક્કર અને મંત્રી દિનેશભાઇ ઠાકર ની આ અવસરને સફળ બનાવવા મહેનત કાબિલ-એ-દાદ રહી, તેમના માર્ગદર્શનમાં મધ્ય ગુજરાત ઝોન હજી વધુ કાર્યક્રમ કરી સમાજને જાગૃત કરશે તેવું અનેક ઉપસ્થિત મહાનુભાવો કહી રહ્યા હતા જે એક ખુબ જ સારી બાબત હતી.
નેનપુર જલારામ મંદિર ખાતે સવારથી જ લોહાણા સમાજના યુવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમારોહ દરમ્યાન લગભગ આખો સભા હોલ ચિક્કાર ભરેલો જાેવા મળ્યો હતો. અનેક નામાંકિત અખબારના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહી આ સમારોહને મીડિયા કવરેજ આપ્યું હતું.
રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આગામી તા.૨૨.૦૫.૨૦૨૨ ના રોજ ઉત્તર ગુજરાતના રાધનપુર મુકામે એક વિશાળ અધિવેશનની જાહેરાત કરી છે, અને રાધનપુર મુકામે એક હજાર કરતા વધુ લોહાણા સમાજના અગ્રણી આગેવાનો અને યુવાનો હાજર રહી આ હક્કની અને ન્યાયની લડાઈને વધુ મજબૂત બનાવશે.


