Gujarat

વડાપ્રધાન મોદી દાહોદમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

દાહોદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આગામી પખવાડિયામાં સંભવિત ૨૦ એપ્રિલે યોજાનારા પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચીવ પંકજ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમજ જિલ્લા સેવા સદન ખાતે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારે દાહોદ જિલ્લામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પિત થનારા વિવિધ વિકાસકાર્યો તેમજ ખાતમુહૂર્તની વિગતો પણ મુખ્ય સચીવને આપી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ થનારા વિકાસકાર્યોની મુલાકાત પણ લીધી હતી. તદ્દઉપરાંત જિલ્લાના પ્રભારી સચીવ રાજકુમાર બેનીવાલે પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડો. એસ. મુરલીક્રિશ્ના, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવા, આદિજાતિ વિકાસ નિયામક દિલીપકુમાર રાણા, પંચમહાલના કલેક્ટર સુજલ મયાત્રા, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, પંચમહાલના જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીસહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *