વડોદરા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં પિયરમાં રહેતી પરિણીતાની એકલતાનો લાભ લઈને વડોદરાના કારેલીબાગમાં સંજયનગર-૧માં રહેતા હવસખોરે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હવસખોર અને પીડિત પરિણીતાનો પતિ ખાસ મિત્ર હતા. મિત્ર હોવાથી અવારનવાર ઘરે જતો હતો. જેમાં હવસખોરે પરિણીતાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. કરજણ તાલુકામાં રહેતા નિશાબહેન (નામ બદલ્યું છે)ના પતિ ભાવેશભાઇ (નામ બદલ્યું છે) અને વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંજયનગર-૧માં મકાન નંબર-૧૫માં રહેતા અશોક કુબેરભાઇ ચૌહાણ બંને મિત્રો છે. જેથી અશોકકુમાર ચૌહાણ અવારનવાર મિત્ર ભાવેશભાઈના ઘરે જતા હતા. જેના કારણએ ભાવેશની પત્ની નિશાબહેન સાથે પણ પારીવારીક સબંધો બંધાયા હતા. સમય જતાં અશોક અને ભાવેશ વચ્ચે મિત્રતા ઓછી થઇ ગઇ હતી. પરંતુ, અશોકે મિત્ર ભાવેશની પત્ની નિશાબહેન સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા અને અવારનવાર તેઓ કરજણ ખાતે પણ જતા હતા. દરમિયાન અશોક અને નિશા વચ્ચે હાથ ઉછીના નાણાં માટે અવારનવાર લેવડ-દેવડ શરૂ થઇ હતી. હાલમાં પણ નિશા અશોક પાસે નાણાં માંગી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અશોક અને ભાવેશ દૂરના સબંધી પણ થાય છે. કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હવસખોર અશોક ચૌહાણ નિશાબહેનના ઘરે ગયો હતો. તે સમયે ઘરમાં કોઇ હાજર ન હતું. જેથી અશોક નિશાબહેનની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. બે વખત અશોકે નિશા સાથે દુષ્કર્મ આચર્યું હતું. કરજણ પોલીસના પી.આઇ. એમ.એ. પટેલે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે આરોપી અશોક ચૌહાણ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


