વડોદરા
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને શાળાના વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારે સંત કબીર સ્કૂલના ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કરોડીયા પ્રાથમિક શાળા અને સવાદ કવાટર્સની શાળાના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી છે. બીજી તરફ માંજલપુરની મહાત્મા ગાંધી સ્કૂલ અને મકરપુરાની ન્યુ ઇરા સ્કૂલના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી છે.વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના જીવરાજ મહેતા છાત્રાયલનો એક વોર્ડન કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય ટીમે વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં નવા ૨૮૧ કેસ નોંધાયા છે. આમ કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૩,૬૯૨ ઉપર પહોંચી ગઇ છે. વધુ ૫૬ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૭૨,૧૨૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરા શહેરમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૭૮ કેસ નોંધાયા હતા. ત્યારબાદ ઉત્તર ઝોનમાં ૬૦, પૂર્વ ઝોનમાં ૫૧ અને દક્ષિણ ઝોનમાં ૫૦ કેસ નોંધાયા છે. શુક્રવારે આવેલા પોઝિટિવ દર્દીઓમાં એક વર્ષથી નાના ૩ બાળકો અને ૧૦ વર્ષ નાના ૮ બાળકોનો સમાવેશ થાય છે. દાંડિયાબજાર વિસ્તારની ૫૧ વર્ષીય મહિલા ઉધસરની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું ગુરુવારે રાત્રે મોત થયું હતું. આ મહિલાનો ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે, મોત કોવિડથી થયુ છે કે કેમ તે કમિટી નક્કી કરશે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ૩૪ ધન્વંતરીરથ શરૂ કરી કોરોનાના ટેસ્ટ વધારવામાં આવ્યા હતા. શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા ૭૫૭૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ગુરુવારની સરખામણીમાં ૧૬૮૦ ટેસ્ટ વધુ કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરુવાર કરતા ૧૦૫ દર્દીઓ વધુ નોંધાયા હતા. શહેરમાં ૯૪૭ એક્ટિવ કેસ પૈકી ૮૩૧ દર્દી હોમ આઇસોલેશનમાં અને ૧૧૬ દર્દી દવાખાનામાં દાખલ છે. જે પૈકી ૩ વેન્ટીલેટર પર ૪૬ દર્દી ઓક્સિજન પર રખાયા છે. સમગ્ર રાજ્ય સરકાર બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી ભીતિથી તે તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા ઓનલાઇન મિટિંગનું આયોજન કરી ખાનગી તબીબો સાથે પીડિયાટ્રીશિયનોને તૈયારી રાખવા અને આગામી સમયમાં વધુ પોઝિટિવ કેસ આવવાની શક્યતાઓ દર્શાવી હતી. આઇઆઇએમએના ગુજરાત રાજ્યના પ્રમુખ ડોક્ટર પરેશ મજમુદાર દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં બે હજાર જેટલા બાળકો માટેના બેડ હશે.


