વડોદરા
વડોદરા કોર્પોરેશન દ્વારા ઓલ્ડ પાદરા રોડ હેવમોર સર્કલ અને લાયન્સ કલબ તરફના માર્ગ પાસે નડતરરૂપ બે નાના મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી વડોદરા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી મંદિરના પુનઃ સ્થાપનની માગણી કરવામાં આવી હતી.સાથે જ રામધૂન કરવાની સાથે સાથે શાસકો સામે નારેબાજી કરાઈ હતી. ચૂંટણી ટાણે હિન્દુત્વની વાતો કરતા ભાજપ શાસકોના મંદિરોના ડીમોલેશન રોકવા હાથ ધ્રૂજી રહ્યા છે. ક્રિકેટ રમવામાં મગ્ન મેયર આ બાબતે જવાબ આપે. આ ઘટનામાં જવાબદાર ધારાસભ્ય ,મેયર, મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરના ઘરે જઈ રજૂઆત કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, મંદિર તોડી પાડ્યું તે સ્થળે ગેરકાયદેસર પોલીસની કેબીન તથા વીજ કંપનીની કમ્પાઉન્ડ વોલ છે. તે કેમ દૂર કરવામાં આવ્યું નથી. વિકાસની આડમાં મંદિર તોડવું હોય તો મંદિરના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા સાથે મંદિર પુનઃસ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિર તોડવા જાેઈએ. જેથી લોકોની ધાર્મિક લાગણી ના દુભાય. અમારી માંગણી છે કે, મેયર માફી માંગે અને મંદિરના પુન સ્થાપન સાથે પ્રતિમાઓના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરે. સત્તાના નશામાં શાસકો ભૂલી ગયા છે કે, જે સત્તા આપી શકે છે. તે છીનવી પણ શકે છે. ભાજપના શાસનમાં માત્ર ગરીબ પ્રજાને પરેશાન કરવામાં આવે છે. જ્યારે માલેતુજારો સામે આંખ આડા કાન કરે છે. અધર્મીઓને ધર્મની દિશા બતાવવા લડત ચલાવાશે. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ભીની આંખે જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં સૌથી વધુ મંદિરો તૂટ્યાં છે.
