અંજાર
અંજાર તાલુકાના વરસામેડીમાં લગ્નની લાલચ આપી પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, બાદમાં દોઢ મહિના સુધી તેને પોતાના ઘરમાં રાખી આરોપી અને તેની પત્નીએ મહિલાને મારકૂટ કરી મહિલા અને તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપતા ચકચાર પ્રસરી છે. આ અંગે અંજાર પોલીસ મથકેથી ગાંધીધામમાં રહેતી ભોગ બનનાર ૩૦ વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી અને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી તે છેલ્લા ૬ વર્ષથી પોતાના સંતાનો સાથે અલગ રહે છે. જે દરમિયાન વરસામેડીમાં રહેતા આરોપી કૌશીક ખેતશીભાઈ બરારીયા સાથે સંપર્ક સાધતા તેમણે મહિલાને લગ્નની લાલચ આપી તેના સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી અને તેની પત્ની હિરલબેને સાથે મળી ભોગ બનનાર મહિલાને દોઢ મહિના સુધી પોતાના ઘરે રાખી હતી. જ્યાં પણ આરોપી કૌશિકે અવાર નવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, આ દરમિયાન આરોપી બંને પતિ-પત્નીએ મહિલાને મારકૂટ પણ કરી હતી અને મહિલા અને તેમના સંતાનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે અંગે મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આ અંગે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


