સુરત
મોટા વેપારી હોવાનું કહી પિતા અને ૨ પુત્રો તેમજ ભાગીદારે કાપડના વેપારી પાસેથી ગ્રે-કાપડનો રૂ. ૫૯.૫૩ લાખનો માલ લઈ નાણા ચાંઉ કરી ફરાર થયા છે. અમરોલી પોલીસે કાપડના વેપારી અશ્વિન સાંચપરાની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે લેભાગુ વેપારી ભૂપત જીવરાજ નાકરાણી, પુત્ર જીગ્નેશ નાકરાણી અને નીતીન નાકરાણી (રહે,આંબાવાડી,વરાછા) અને ભાગીદાર જતીન પ્રવિણ વઘાસીયા (રહે,એમ્બેવેલી હાઇટ્સ,ઉત્રાણ)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. વધુમાં લેભાગુ વેપારી પિતા અને તેના બે પુત્રો તેમજ ભાગીદારે વેપારીના કારખાનાના પર આવી મોટા વેપારી હોવાની વાત કરી હતી. લેભાગુ વેપારી અને ભાગીદારોએ વર્ષ ૨૦૧૯ થી અત્યાર સુધીમાં કાપડના વેપારી પાસેથી ૮૨.૪૦ લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. શરૂઆતમાં વેપારીને વિશ્વાસમાં લેવા ૧૯.૫૬ લાખનું પેમેન્ટ કર્યુ હતું. પછી થોડા મહિના બાદ પેમેન્ટ ન ચુકવણી કરતા કાપડનો વેપારી સારોલી દુકાને ગયો હતો. સારોલીમાં પિતા-પુત્રો અને ભાગીદાર દુકાન બંધ કરી ફરાર થયા હતા. જે જીએસટી નંબર આરોપીએ વેપારીને આપ્યો હતો તે નંબરના આધારે આરોપી જતીન વઘાસીયાના ઘરે વેપારી રૂપિયાની ઉઘરાણી માટે ગયો હતો. તે વખતે જતીને ૩.૩૦ લાખનું ગ્રે-કાપડનો માલ વેપારીને પરત કર્યો હતો. જયારે બાકીના ૫૯.૫૩ લાખ આપવાનો વાયદો કરી બાદમાં ચારેય લેભાગુ વેપારીઓ ગાયબ થયા હતા.


