વાંસદા
આ વર્ષે કેરી મોડી આવી છે કેરી રસીયાઓ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા ત્યારે વાંસદા એપીએમસીમાં કેરીની હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ૨૦ કિલો વનરાજ કેરીનો ભાવ રૂ. ૧૭૫૧ અને કેસર કેરીનો ભાવ રૂ. ૧૫૦૦ બોલાયો હતો.વાંસદા તાલુકાની કેરીઓ સમગ્ર ગુજરાત સહિત બીજા રાજ્યના વેપારીઓ અને સાપુતારા આવતા પ્રવાસીઓ પણ વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેરી આવવાનીની આતુરતાથી રાહ જાેઈને બેઠા હોય છે, કારણે કે વાંસદા તાલુકાની કેરીઓ બિનપિયતની હોય હોવાથી મીઠી લાગતી હોય છે. લોકોની આતુરતાનો અંત આવ્યો કારણ કે કેરી હરાજીનો વિધિવત પ્રારંભ ચેરમેન ગણપતસિંહ ચૌહાણ અને ડિરેક્ટર લક્ષુભાઈ થોરાટ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, વિસ્તરણ અધિકારી ખેતી સેક્રેટરી હિનેશભાઈ ભાવસાર, રાકેશ શર્મા, પ્રધ્યુમનસિંહ સોલંકી તથા વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી કેરી હરાજીને ખુલ્લી મૂકાઈ હતી. કેરી ખરીદી કરવા માટે વેપારીઓ હરાજીમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે કેસર કેરીનો એક મણ (૨૦ કિલો)ના રૂ. ૧૫૦૦, વનરાજના રૂ. ૧૭૫૧, રાજાપુરી રૂ. ૮૫૧, સુંદરીના રૂ. ૪૫૧ બોલાયા હતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને કેરીના ભાવ સારા મળશે એવું વેપારી બળવંત પટેલે જણાવ્યું હતું. હવે વાંસદા તાલુકાની પિયત વગરની કેરીઓ મળવાની શરૂઆત થતા વાંસદા માર્કેટમાં સુરત, અમદાવાદ, બરોડા, બારડોલી, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના વેપારીઓનું કેરી ખરીદવા આગમન ચાલુ થશે.અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી એપીએમસીમાં ૨૦ દિવસ અગાઉથી હરાજી શરૂ થઇ ગઇ હતી. ચીખલી એપીએમસીમાં હાલમાં જ કેરીનીહરાજી શરૂ થયા બાદ હવે વાંસદામાં કેરીની હરાજી શરૂ થઇ છે.


