વાપી
દિવસેને દિવસે ઘોર કળિયુગ આવી ગયો છે લોકો ભગવાનને પણ નથી છોડતા… મંદિરમાંથી પણ ચોરી કરવા લાગ્યા છે ત્યારે મોટાપોંઢા મંદિરોની દાનપેટી અને વાહન ચોરીમાં વધારો થતા પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી તેને અટકાવવા પોલીસ પ્રયાસ કરે તેવી માગ કરી છે. મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલે નાનાપોંઢા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, મોટાપોંઢા વિસ્તારમાં ૩૦થી ૬૦ દિવસની અંદર નાની મોટી ચોરીના બનાવો બની રહ્યા છે. દોઢ મહિના અગાઉ તળાવ ફળિયા સ્થિત મહાદેવ મંદિરની દાનપેટી તોડીને રોકડાની ચોરી થઇ હતી. ત્યારે વાહનોના ટાયર, સાયલેન્સર, મોટરની ચોરી પણ થઇ રહી છે. ગામતળમાં આવેલ હનુમાનજી મંદિરની દાનપેટી તોડી રૂ.૨૦થી ૨૫ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જ્યારે અંબામાતા મંદિરની દાનપેટી માંથી પણ રૂપિયાની ચોરી કરાઇ હતી. આ વિસ્તારમાં અવાર નવાર ચોરીના બનાવો વધતા ગામમાં એક હોમગાર્ડ તેનાત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.

