ગિરગઢડા તા
ભરત ગંગદેવ
સમાજમાં માતા-પિતા વચ્ચે નાની મોટી બાબતોના કારણે અણબનાવો બને છે. જેને લઇ પરિવાર વિખૂટો પડે છે અને ઘણા બાળકો માતાનું અથવા પિતાનું વાત્સલ્ય ગુમાવે તેવા બનાવો બનતા હોય છે. પણ આવા બનાવોમાં યોગ્ય સમજાવટના કારણે સુખદ સમાધાન લાવી શકાય છે. એવા જ એક બનાવમાં કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક સાધતા પોતાની આપવીતી જણાવી અભયમની મદદ માગી હતી. કાઉન્સેલર મનીષા ધોળિયા અને કોન્સ્ટેબલ જીજ્ઞાબેન અને પાયલોટ અલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહ્યુ હતું કે તેમના પતિ અવાર-નવાર નાની નાની વાતોમાં મારકૂટ કરતા હતા તેથી મહિલા કોઈપણને જાણ કર્યા વગર ઘરેથી નીકળી અને પોતાના પિયર આવી હતી પણ તેના ૧૦ માસના બાળકની લેવાની વાત કરી તો સાસરિયા પક્ષે ના પાડી દીધી હતી. એટલું નાનું બાળક માતા વગર ન રહી શકે ત્યારે અભયમ ટીમ મહિલાને લઈ તેના પતિનાં ઘરે ગયા અને કાઉન્સિલીંગ કરી સમજાવ્યું હતું કે હાલ તમારૂ બાળક ૧૦ માસનું છે અને તેના માટે ફીડિંગ શારીરિક વિકાસનો પાયો છે માટે તેને હાલ માતાની હુંફની જરૂર વધારે હોય છે. આમ સામાજીક તેમજ કાયદાકીય સમજ આપી હતી. જે પછી માતાએ બાળકની લેખિત બાહેંધરી લીધી હતી તેનાથી સંતુષ્ટ થઈ અને બાળકનો કબ્જો તેની માતાને સોંપવામાં આવ્યો હતો. આમ માતાના પ્રેમથી વંચિત રહેલ કુમળા ફૂલ જેવા બાળકને અભયમ ટીમે માતાની હુંફ અપાવી હતી.


