ગિરગઢડા
ભરત ગંગદેવ..
વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પુ.જલારામ બાપાને 350 કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે રાત્રીના ધાર્મીક કાર્યક્રમો પણ મંદિર ખાતે યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભીમ અગિયારસ પર્વે કેરીઓ મંદિર-હવેલીમાં ધરવા તથા એકબીજા સંબંધીઓને આપવાનું માહાત્મ્ય લોકોમાં વર્ષોથી છે. જેને લઈ વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરએ પણ ભીમ અગિયારસની પૂર્વ સંઘ્યાએ ગુરૂવાર હોવાથી આંબા મનોરથનું આયોજન કરાયેલ હતુ. જેમાં મંદિરે સવારે પૂ.જલારામ બાપાના ચરણોમાં 350 કિલો વિશ્વમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી આંબા મનોરથ કરવામાં આવેલ હતો. ત્યારબાદ મનોરથમાં ધરાયેલ 350 કીલો કેરીઓ બાપાના ચરણો અને પરીસરમાં ગોઠવી અદભુત શણગાર કરવામાં આવેલ હતો. બાદમાં સાંજે ચાર થી દસ વાગ્યા સુધી આંબા મનોરથના શણગારના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ અદભુત શણગારના દર્શન કરી જલારામ બાપાના ભકતો ઘન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા.
બાદ રાત્રીના મંદિર ખાતે ધુન- ભજનનો ધાર્મીક કાર્યક્રમ યોજાયેલ જેમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આજે મનોરથમાં ધરાયેલ 350 કિલો કેરી આવતીકાલે પ્રસાદીરૂપે જલા ભક્તોને આપવામાં આવશે તેવું મંદિરના સેવકો પાસેથી જાણવા મળેલ છે.


