રાજકોટ
વેરાવળના શાપર પાસે તળાવમાંથી બે માસૂમ બાળકના મૃતદેહો મળી આવ્યા હતા, જેથી શાપર વેરાવળ પોલીસે તપાસ કરતાં તેઓ બંને ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થયાં હતાં. આ મુદ્દે બન્નેનાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન બન્નેની લાશ મળી આવતાં શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. હાલ પોલીસે બંને બાળકનાં મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, શાપર વેરાવળમાં આવેલી મીના કાસ્ટિંગ નામની ફેક્ટરીના ગેટ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા વિક્રમભાઈ બારૈયાનો ૯ વર્ષનો પુત્ર અને ૫ વર્ષનો અર્જુન ઘરેથી ભંગાર વીણવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા થઈ જતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી એ દરમિયાન શુક્રવારે સાંજે તળાવમાંથી બંનેના મૃતદેહો મળ્યા હતા. આ મુદ્દે પીએસઆઈ કુલદીપ સિંહ ગોહિલે વધુ તપાસ કરતાં મૂળ એમપીના વિક્રમભાઈ છેલ્લા કેટલાય સમયથી શાપર વેરાવળમાં મજૂરીકામ કરતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે અષાઢીબીજના દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા, જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લામાં ગોંડલ અને લોધિકા તાલુકા નોંધાયો હતો. અનરાધાર વરસાદને પગલે અનેક નદી-નાળાં તેમજ ગામમાં આવેલા નાના-મોટા ખાડામાં પાણી ભરાઈ ગયાં હતાં. આ સમયે શાપર વેરાવળ પાસે એક તળાવમાં નાહવા પડેલાં બે બાળકનાં મોત થયાં હતાં.


