જૂનાગઢમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સખીમેળાને વરસાદી માહોલ વચ્ચે ધીંગી સફળતા મળી છે. આ મેળો એક અર્થમાં સ્વ-સહાય જૂથો એટલે કે, સખીમંડળની બહેનો માટે આત્મનિર્ભરતાની રાહ ખોલનારો સાબિત થયો છે. સાત દિવસીય આ મેળામાં સખીમંડળની બહેનોએ રૂ.૧૨.૭૫ લાખની વિવિધ વસ્તુઓનુ વેંચાણ કર્યું છે અને ર૬ હજાર વધુ લોકોએ આ સખી મેળાની મુલાકાત પણ લીધી હતી.
શહેરની એ.જી. હાઈસ્કૂલના મેદાનમાં આયોજિત આ સખીમેળામાં જૂનાગઢ જિલ્લા-શહેર ઉપરાંત રાજ્યના અન્ય જગ્યાના સખીમંડળની બહેનોએ પણ ભાગ લીધો હતો.
ખાસ આ વર્ષે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં જૂનાગઢના સખીમેળામાં પણ ૭૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ સખી મેળાની સાથે રાજ્ય સરકારની ૨૦ વર્ષની સિદ્ધિઓ રજૂ કરતું વંદે ગુજરાત પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે સખીમંડળને સહાય આપવાની સાથે સ્વ રોજગાર માટે રાજ્ય સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવે છે. ઉપરાંત આ બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સખીમેળાના માધ્યમથી એક પ્લેટફોર્મ પણ પૂરુ પાડવામાં આવે છે.
આમ, આ સખીમેળાને સાપડેલા બહોળા પ્રતિસાદને કારણે સખીમંડળની બહેનોનો ઉત્સાહ વધારનારો રહ્યો હતો.

