સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
નગરપાલિકાના વર્ષો જૂના પડતર પ્રશ્નો અંગે અખિલ ગુજરાત મહામંડળ ના હોદેદારો દ્વારા સક્ષમ ઓથોરિટીને આ વ્યાજબી પ્રશ્ર્નોના નિરાકરણ માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં પણ હજુ સુધી પ્રશ્ર્નોનો નિરાકરણ નહીં આવતાં સમગ્ર રાજ્યની નગરપાલિકા દ્વારા અગાઉ આવેદન આપ્યા મુજબ આજરોજ તારીખ ૧૫ મી ઓક્ટોબરના રોજ સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ વહીવટી કામગીરી બંધ કરી હડતાળ પર જવા નિર્ણય કરેલ હોય આજથી સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરી ગયા છે. સ્વાભાવિક છે કે કર્મચારીઓની વ્યાજબી માંગણી સક્ષમ ઓથોરિટી દ્વારા સંતોષાવી જોઈએ. જો કે સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ શ્રી હિતેષ રવાણીએ તંત્ર પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે ૨૦૧૭ થી કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગણીઓ અંગે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર માત્ર હૈયાધારણા અને દિલાસાથી જ કામ ચલાવી રહી હોય વાસ્તવિક પ્રશ્ર્નોના નિરાકરણ માટે દુર્લક્ષ સેવતી જોવા મળે છે એટલે નાછૂટકે હડતાળ જેવા શસ્ત્રનો ઉપયોગ કરવા માટે કર્મચારીઓ મજબૂર છે. અને એક ખાસ વાત એ છે કે સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીઓને તો હજુ ચોથા પગારપંચનો જ લાભ મળે છે અને છેલ્લા બે વર્ષથી તો મોંઘવારી પણ વધી નથી એ વાઈબ્રન્ટ ગુજરાત માટે ખરેખર વ્યાજબી ન કહેવાય અને ગુજરાતમાં ચોથા પગારપંચ પર કામ કરતાં માત્ર બે નગરપાલિકાના જ કર્મચારીઓ છે. જે સાવરકુંડલા જેવાં ખમીરવંતા શહેર માટે શરમજનક બાબત ગણાય. તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અને ઉકેલ નહીં આવે તો તારીખ ૨૧ ઓક્ટોબરથી નગરપાલિકાની લાઈટ, પાણી ગટર સફાઈ જેવી આવશ્યક સેવાઓ પણ બંધ કરવામાં આવશે એવી ચિમકી પણ કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકા કર્મચારી મંડળ વતી પ્રમુખ હિતેશભાઈ રવાણી, ઉપપ્રમુખ ભૂપતભાઈ ખુમાણ તથા મંત્રી સંજયભાઈ ત્રિવેદી દ્વારા હડતાળ દરમિયાન લોકોને પડતી મુશ્કેલી અંગે દિલગીરી પણ વ્યકત કરેલ છે. ચૂંટણીનો સમય નજીક છે. સરકાર દ્વારા આ તમામ કર્મચારીઓની ન્યાયિક માંગણી અંગે હકારાત્મક અભિગમ દાખવી તેના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવું જોઈએ


