સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો હવે અથાણા અને મસાલાની સિઝન શરૂ થવામાં છે ત્યારે અથાણાં તરીકે ઉપયોગમાં લેવાતા કેરડાનો એક અનોખો ઈતિહાસ છે. આયુર્વેદિક અથાણાં સમા કેરડાનું અથાણું ખાવાથી માનવીની તંદુરસ્તીમાં નરવાઈનો અહેસાસ થાય છે. દુર્લભ થતું જતું આ અથાણું લગભગ આજની નવી યુવા પેઢી માટે તો હવે એનો પરિચય પણ લુપ્ત થવાના આરે છે. આમ તો ખેતર પાદરના સીમ શેઢે ખેતર ફરતી વાડ આસપાસ આ કેરડાનો ઉછેર સ્યંભૂ થતો હોય છે. આમ તો તેને વન્ય વનસ્પતિ જ કહી શકાય.. જૂનવાણી લોકો અર્થાત્ આપણાં જ વડીલો આ કેરડાને મીઠામાં પલાળીને તેનો અથાણા તરીકે ઉપયોગ કરતા જોવા મળતાં. અમુક પ્રકારના દર્દીઓને પણ કેરડાનું અથાણું આપી શકાતું. ખાસકરીને પ્રસુત્તાને પણ પ્રસુતિના થોડા દિવસો બાદ આ કેરડાનું અથાણું આપવામાં આવતું.. આમ પણ કહેવાય છે કે કેરડાનું અથાણું આરોગવાથી માનવીને નરવાઈ રહેતી હતી. હાલના સમયમાં આ કેરડા ભાગ્યે જ બઝારમાં વેચાણ માટે આવે. હાલ કેરડાનો સમય છે પરંતુ એક કિલોના ૨૦૦ રૂપિયા લેખે પણ બઝારમાં ભાગ્યે જ વેચાતાં જોવા મળે છે. દૂર સીમની ખેતરોના શેઢે થતાં કેરડા પણ અથાણાં તરીકે ખાવાની એક અલગ જ મજા હોય છે પરંતુ પીઝા બર્ગર આરોગતી આજની નવી પેઢીને લગભગ આ સ્વાદથી મોટેભાગે અજાણ હોય તેવું લાગે છે.

