સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ માનવમંદિર ખાતે માનવમંદિર પરિવાર દ્વારા આકાશી શબરી માં ના સ્મરણાર્થે ભંડારો એવંમ સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ તારીખ ૨૩ મી નવેમ્બર કારતક વદ અમાસને બુધવારના રાત્રે નવ કલાકે યોજાનાર છે. આ સંતવાણી કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા, સંતવાણી આરાધક શ્રી રામદાસબાપુ ગોંડલીયા, ભજન અને લોકગીત ગાયિકા લલિતાબેન ઘોડાદરા અને ભજનીક ભગવતીગીરી ગૌસ્વામી પોતાની કલા પીરસી આપને ભક્તિમાં તરબોળ કરશે. આ કાર્યક્રમમાં અનેક સંત મહંતશ્રી પધારશે. તો આ કાર્યક્રમમાં તમામ સેવકગણ તથા શહેરીજનોએ પધારવા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. આ સંદર્ભે ગઈકાલે રવિવારે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયા તથા લાયન્સ પ્રોજેક્ટ ઇન્ચાર્જ મયુરભાઈ વાઘેલા માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામ બાપુના સાનિધ્યમાં પહોંચી આ ભવ્ય આયોજનમાં પોતાને પણ સેવાની તક મળે તે માટે તત્પરતા દર્શાવી હતી. આમ સેવકગણ પણ આ કાર્યક્રમને દીપાવવા માટે ભારે ઉત્સુકતા દાખવી રહ્યા છે.


