સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સામાન્ય રીતે સુરખાબ પંખી ખારા પાણીની ઝીલો તથા મીઠાના અગરોમાં જ વધારે જોવા મળે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ કે સાવરકુંડલા શહેરને અડીને આવેલું સુખનેરા તળાવ ઘણા વખતથી ભરેલું હોવાથી સૌ પ્રથમ વખત છ સુરખાબ ઉતરી આવ્યા હતાં. જેથી પંખીપ્રેમીઓમાં ખુબ જ હર્ષની લાગણી ફેલાઈ હતી. આ તળાવમાં શિયાળાની ઋતુમાં અન્ય પાણીમાં વિહાર કરતાં વિદેશી પક્ષીઓ જેવા કે કોમ્બ ડક, મલાર્ડ, યુરેશીયન વીજીયન ડક, નોર્ધન શોવેલર જેવી બતકો મહેમાન બનતી હોય છે. પણ આ વખતે આ તળાવમાં આ બતકોની સાથે સાથે સુરખાબ પક્ષી મહેમાન બન્યાનો સૌ પ્રથમ દાખલો છે. સુરખાબ પક્ષી ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. સુરખાબ પક્ષીને આપણી લોક સંસ્કૃતિમાં લોકગીતોમાં ઠાકોરજીના જાનૈયા કહેવામાં આવ્યા છે. આપણે ત્યાં ગુજરાતમાં બે પ્રકારના સુરખાબ જોવા મળે છે ગ્રેટર ફ્લેમીંગો (મોટો સુરખાબ) અને લેસર ફ્લેમીંગો (નાનો સુરખાબ) સાવરકુંડલામાં છ લેસર ફ્લેમીંગો મહેમાન બન્યા છે. લેસર ફ્લેમીંગોની ઉંચાઈ ૮૦ થી ૯૦ સેમી હોય છે, ડોક વળાંકવાળી હોય છે અને રંગ સફેદ તથા ગુલાબી હોય છે. સુરખાબ પક્ષીનો મુખ્ય ખોરાક લીલ અને શેવાળ હોય છે એમ સાવરકુંડલાના પક્ષીવિદ સતિષભાઈ પાંડેએ જણાવ્યું હતું .


