સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા બિલાડીના બચ્ચાની જેમ ફરતી શાકમારકેટનું સ્થળાંતર હવે નાવલી ના પટમાં. ચોમાસાના ચાર મહિના તો શાકભાજી વિક્રેતાઓની સ્થિતિ કફોડી હોય છે. નદીમાં પાણી આવે એટલે શાકમારકેટ ઠપ્પ. બીચારા રોજિંદુ પેટિયું રળતાં શાકભાજી વેચનારાની કિસ્મત નથી બદલી.. નાવલી નદીનાં ખુલ્લા પટમાં શાકમારકેટ કે જે નદીના પટમાં ખુલ્લી ગટર પસાર થાય છે એવા વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓની પોતાના શાકભાજી વેચવા બેસવું પડે એથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે? વર્ષો જૂનો અને અખબારોમાં પણ અનેક વખત પ્રકાશિત થયેલાં આ સમાચારો પણ હવે શાકભાજી માર્કેટની વાત કરતાં હાંફી ગયા છે. કોને ખબર આ સંવેદનશીલ સરકારનું તંત્ર શું કરતું હશે? હજુસુધી આ નાવલી નદીના પટમા બેસતી શાકમાર્કેટને કોઈ યોગ્ય અને વ્યવસ્થિત જગ્યા ફાળવવામાં આવી નથી. જો શહેરમા સંપૂર્ણ સુવિધા યુક્ત શાકમાર્કેટના બિલ્ડીંગનું નિર્માણ થાય તો લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ શાકભાજી મળી રહે અને શાકભાજી વેચનારને પણ સ્થળ અંગે કાયમી નિરાંત થઈ જાય. દરેક લોકોને સુલભ બને એવા સ્થાને શાકમાર્કેટ બને જેમાં વ્યવસ્થિત શાકભાજી સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ વાહન પાર્કિંગ તથા સોલાર સિસ્ટમ આધારિત વીજ વ્યવસ્થા હોય તો લોકો અને શાકભાજી વેચનારને કાયમી હાશકારો. લોકોને તાજા શાકભાજી મળે અને રખડતા ઢોરના ત્રાસમાંથી શાકભાજી લેવા જતી વખતે લોકોને મુક્તિ મળે. તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ અને ઉકેલ આવે એવું સાવરકુંડલાના શહેરીજનો ઈચ્છે છે.

