ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સાસણ ગીર, ભાલછેલ ગીર અને હરીપુર ગીર ત્રણ ગામોની ગ્રામીણ પ્રજાને સરળતા રહે તે માટે સાસણ ખાતે મંજૂર થયેલા પીજીવીસીએલનું સબ ડિવિઝન કચેરીનું વડુ મથક સાસણના બદલે મેંદરડા ખાતે રાખવાની ગતિવિધી ચાલું થતા ત્રણેય ગામોની પ્રજામાં રોષ પ્રવર્તેલો છે. આ મામલે ત્રણેય ગામના સરપંચો અને આગેવાનો દ્વારા વીજતંત્રને આવેદનપત્ર પાઠવીને વીજ સબ ડિવિઝન કચેરી સાસણ ખાતે જ રાખી કાર્યરત કરવા માંગણી કરી છે. તાલાલા તાલુકાના નજમાબેન કટીયા(સરપંચ-સાસણ ગીર), ભુપતભાઈ બાલસ (સરપંચ- હરીપુર ગીર), કંચનબેન સોનીમાર (સરપંચ-ભાલછેલ) તથા આગેવાનોએ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પી.જી.વી.સી.એલ.નું નવું સબ ડિવિઝન સાસણગીર ખાતે મંજૂર થયું છે. તાલાલા ગીર સબ ડિવિઝન કચેરીમાં આવતા ભાલછેલ ગીર અને હરીપુર ગીર અને સાસણ ગીર ગામનો સમાવેશ સાસણના નવા સબ ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારે સાસણ ખાતે મંજૂર થયેલા નવી વીજ કચેરી સાસણમાં જ કાર્યરત કરવામાં આવે તો ત્રણેય ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને સુવિધા સાથે સગવડતા મળશે. પરંતુ સાસણગીર સબ ડિવિઝન કચેરીને સ્થાનીક સ્થળના બદલે મેંદરડા ખાતે લઈ જવામાં આવશે તો ત્રણેય ગામની પ્રજા તથા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે, ત્રણેય ગામોથી તાલાલા શહેર ૧૨ થી ૧૫ કીમી દુર થાય છે. જ્યારે મેંદરડા ૩૩ કીમી દુર થાય છે. તેવી જ રીતે તાલાલા સબ ડિવિઝન કચેરી વેરાવળ ડિવિઝનમાં આવતી હોય ત્રણેય ગામની પ્રજા તથા ખેડૂતોને ડિવિઝન કચેરીના કામ માટે ૪૦ કીમી દુર પડે છે. જ્યારે મેંદરડા સબ ડિવિઝન જુનાગઢ ડિવિઝનમાં આવતું હોય ત્રણેય ગામને જુનાગઢ ૬૦ કીમી દુર પડે છે. આ માટે સાસણગીર ભાલછેલ ગીર અને હરીપુર ગીર ગામની પ્રજા તથા ખેડૂતોને હાલાકી ન પડે તેને ધ્યાને રાખીને નવી વીજ કચેરી સાસણમાં જ કાર્યરત કરો અથવા ત્રણેય ગામને તાલાલા સબ ડિવિઝન કચેરીમાં યથાવત રાખી ત્રણેય ગામની પ્રજા તથા ખેડૂતોને નવી કચેરીથી નવી ઉપાધીનો સામનો કરવો પડે નહીં તેનું ધ્યાન રાખવા અંતમાં ત્રણેય ગામના સરપંચોએ માંગણી કરી છે.


