Gujarat

સાસુએ પૌત્ર જન્મ માટે વહુને દવાઓ આપી, દીકરી જન્મતાં હોસ્પિટલમાં મૂકી પરિવાર જતો રહ્યો

અમદાવાદ
અમદાવાદમાં અંધશ્રદ્ધા અને દહેજને લઈને અનેક પરિણીતાઓનું જીવન દુઃખમય બની જતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં એક એવી ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાઓએ મોટા દીકરાની વહુને દીકરો જન્મે તે માટે ભભૂતિ અને દવાઓ આપી હતી. પરંતુ વહુને દીકરી અવતરતા જ સાસરિયાઓ તેને હોસ્પિટલમાં એકલી છોડીને ચાલ્યા ગયાં હતાં. આ બાબતે પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતા પરિવારમાં મોટા દીકરાની વહુને દીકરીઓ અવતરી હતી. ત્યારબાદ તે ફરીવાર ગર્ભવતી થતાં સાસરીયાઓ તેની પાસે દીકરો થાય તેવી આશા રાખતાં હતાં. તેઓ પરિણીતા સાથે મારઝૂડ કરતાં અને બિભત્સ ગાળો બોલતાં હતાં. અનેક વખત મેણા ટોણા મારીને નશાની ગોળીઓ ખવડાવી દેતાં હતાં. લગ્ન બાદ પરિણીતાને થોડા સમય સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ પરિણીતાએ દીકરીઓને જન્મ આપતાં સાસરિયાઓએ તેમના ભરણપોષણ માટે પરિણીતાને તેના પિયરથી પૈસા લાવવા દબાણ કર્યું હતું. પરિણીતાએ સંસાર બગડે નહીં તે માટે તેના પિતા પાસેથી તમામ પ્રકારની જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવીને આપી હતી. પરિણીતાને તેની સાસુ અને દીયરે કહ્યું હતું કે, આ વખતે તો તેમને દીકરો જ જાેઈએ નહીં તો ઘરમાંથી કાઢી મુકીશુ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પરિણીતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. દીકરો આવ્યો હોવા છતાં સાસુ અને દીયરનો ત્રાસ ઓછો નહોતો થયો. તેમણે પરિણીતાને કહ્યું હતું કે, દીયરના લગ્ન થવાના છે તો તું તારા બાપ પાસેથી મકાનની માગણી કરજે કારણ કે લગ્ન પછી રહેવા માટે આ ઘર નાનું પડશે. તારા પિતા તને ઘર આપે તો તું તેમાં અલગ રહી શકે. આ બાબતનો પરિણીતાએ વિરોધ કર્યો હતો. ત્યારે પતિ, સાસુ અને દિયરે પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. પરિણીતાએ તેના પિતા પાસે કંટાળીને મકાનની માંગ કરી હતી ત્યારે તેના પિતાએ મકાન માટે ૫૦ લાખ રોકડા, ફર્નિચર માટે ૩૦ લાખ રોકડા આપ્યા હતાં. ત્યારબાદ પરિણીતા તેના પતિ અને સંતાનો અને સાસુ સાથે મુંબઈ રહેવા ગઈ હતી. ત્યારે તેના પતિએ ધંધો કરવા માટે કરિયાવરમાં આવેલા ૭૫ તોલા સોનાના દાગીના વેચીને ધંધો ચાલુ કર્યો હતો. તેમજ નવા દાગીના અપાવવાનો વાયદો કર્યો હતો. પરિણીતાએ ફરીવાર સંતાનની જરૂર નથી એવી વાત કહેતા જ સાસુ અને પતિએ ફરીવાર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. સાસુએ દીકરાના જન્મને લઈને પરિણીતાને ભભૂતિઓ પીવડાવી હતી અને વિવિધ દવાઓ પણ ખવડાવી હતી. આ દરમિયાન તે ગર્ભવતી બની હોવાથી સાસુએ આપેલી ભભૂતિ અને દવાથી તેના શરીરમાં ઈન્ફેક્શન થયું હતું. એક સમયે તેને હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને દીકરીને જન્મ આપતાં જ સાસુ અને પતિ હોસ્પિટલમાં તેને એકલી છોડીને જતાં રહ્યાં હતાં. હોસ્પિટલનું બીલ પણ પરિણીતાની બહેને ભર્યું હતું. આટલો ત્રાસ ગુજાર્યા પછી પતિએ તેને ત્રણ તલ્લાક આપી દીધા હતાં. ત્યારબાદ પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *