સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર રામપરા ગામે હોટલ ચલાવતા વ્યક્તિએ વઢવાણ રહેતા મિત્ર પાસેથી રૂા.પાંચ લાખ ઉછીના લઈને સામે આપેલો ચેક બેંકમાંથી રિટર્ન થયો હતો. જે કેસમાં કોર્ટે રામપરાના વ્યક્તિને એક વર્ષની જેલની સજા અને ઉછીની લીધેલી રકમ ૩૦ દિવસમાં પરત આપવાનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ગામે રહેતા અને હોટલ ચલાવતા દલસુખભાઈ નાનુભાઈ ચાવડાએ આર્થિક ભીંસમાં તેમના વઢવાણ રહેતા મિત્ર નરેન્દ્રભાઈ જાેષી પાસેથી રૂા. પાંચ લાખ ઉછીના લીધા હતા અને સામે ચેક આપ્યો હતો. નરેન્દ્રભાઈએ ચેક બેંકમાં ભરતા બેલેન્સના અભાવે રિટર્ન થયો હતો. આથી નરેન્દ્રભાઈએ ચીફ જ્યુ.મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. તાજેતરમાં આ કેસ ચાલી જતા મેજીસ્ટ્રેટ એમ.વી.પટેલે આધાર પુરાવા અને વકીલની દલીલોના આધારે દલસુખભાઈ ચાવડાને દોષિત કરાર આપીને એક વર્ષની જેલની સજા અને નરેન્દ્રભાઈને રૂા.પાંચ લાખ ત્રીસ દિવસમાં પરત આપી દેવાનો આદેશ કર્યો હતો.


