જૂનાગઢમાં સાત દિવસીય નવરાત્રી મેળા-૨૦૨૨ ને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ મશરૂ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પટેલ સહિતના મહાનુભાવોએ નવરાત્રી મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ અને પ્રતિકાત્મક ખરીદી કરી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
દિનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શહેરના આઝાદ ચોક ખાતેના રેડ ક્રોસ હોલના પ્રાંગણમાં આયોજિત આ નવરાત્રી મેળામાં શહેર – જિલ્લાની સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું તા.૨૭ નવેમ્બર સુધી પ્રદર્શન વેચાણ કરવામાં આવશે. આ મેળામાં લોકો ઘર આંગણે સુશોભન, પરંપરાગત વસ્ત્રો, આયુર્વેદિક સહિતની હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરી શકશે.
આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની નેમ મુજબ શહેર- ગ્રામ્યની બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સખી મંડળની બહેનો દ્વારા વિવિધ કલાત્મક વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. ત્યારે આ બહેનોને પ્રોત્સાહન અને રોજગારી મળી રહે તે માટે હાથ બનાવટની આ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીએ. તેમ તેમણે અનુરોધ કરતા ઉમેર્યું હતું.
આ પ્રસંગે લીડ બેંકના મેનેજર શ્રી પી. એલ. ગોહેલ, આસિસ્ટન્ટ મેનેજર શ્રી રાજેશ ડાભી, નેશનલ રૂરલ લાઈવ મિશનની જિલ્લાની ટીમ અને સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


