અમદાવાદ
શહેરમાં પાલડીમાં આવેલી નરસિંહ ભગત હોસ્ટેલ અને ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલમાં ગત મોડી રાતે વિદ્યાર્થીઓ ભોજન, પાણી, સહિતની પાયાની જરૂરિયાતોમાં હેરાનગતિ થવા બાબતે આંદોલન પર ઉતર્યા હતા. બંને હોસ્ટેલના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હતા. જે બાદ બાંહેધરી આપતા આંદોલન પૂરું કરવામાં આવ્યું હતું. સમરસ હોસ્ટેલમાં જમાવવામાં અનિયમતતા, જમવાનું ખૂટે છે. ૨૪ કલાક પાણીનો પ્રશ્ન રહે છે. દિવસમાં માત્ર ૨ વખત જ પાણી આવે છે. આઈડી કાર્ડ માટે નોટરી કરાવવામાં સમસ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને ગત મોડી રાતે હોસ્ટેલના ૧૫૦ વિદ્યાર્થીઓ આંદોલન કરવા ઉતર્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને બાંહેધરી આપીને પાછા વાળવામાં આવ્યા હતા. સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી સુધીર કુબાવતે જણાવ્યું હતું કે, માત્ર સારું જમવાનું આપવાની રેવડી આપી છે. હજુ સારૂ નહીં મળે તો આવેદન આપીશું, ત્યારબાદ ઉગ્ર આંદોલન કરીશું. નરસિંહ ભગત હોસ્ટેલમાં જમવાનું યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી બહારથી જમવાનું લાવ્યા તો તેમને હોસ્ટેલમાં લઈ જવા દેવામાં આવ્યું ન હતું. બહારના ભોજન લાવવા મુદ્દે વિદ્યાર્થીઓ સાથે રકઝક કરવામાં આવી હતી. આ ઉપરાંત ગરમ પાણી નથી મળતું અને અન્ય સમસ્યાઓને લઈને ૩૦૦ વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હતા. વૈભવ જાદવ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે જમવામાં ગુણવત્તા મળે તો અમારે બહારથી ના લાવવું પડે. બહારથી લાવીએ તેમાં રોકટોક કરવામાં આવે છે. અમારે જે ખાવું હોય તે ખાઈએ હોસ્ટેલ અમને શા માટે રોકે છે.


