નવસારી
વડાપ્રધાન મોદીએ નવસારીમાં નવનિર્મિત નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. એલશ્ટીના ચેરમેન અનિલ નાયકની પૌત્રીની યાદમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં ૫૦૦ બેડની ક્ષમતા રહેશે. આ હોસ્પિટલથી સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના દર્દીઓને રાહત રહેશે સાથે જ મહારાષ્ટ્રના ૨ જિલ્લાને પણ આ હોસ્પિટલનો લાભ મળશે. હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, અનિલભાઈએ ગામનું, પિતૃ, માતૃ અને સંતાનનું ઋણ ચૂકવ્યું છે. એલશ્ટી ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતા તેણીની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવસારી હાઇવે નંબર ૪૮ને અડીને આવેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરાયું છે. અહીં કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, પીડિયાટ્રિક,વર્લ્ડ કલાસ સીટી એમઆરઆઈની પણ સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ ૪૦૦ બેડની છે. જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે ૧૦૦ બેડ શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલના લોકાર્પણ સમયે કહ્યું હતું કે, એ.એમ. નાયક અને તેમનો પરિવાર જે કપરા સમયથી પસાર થયો. તેવા સમયથી અન્ય કોઈને પસાર ન થવું પડે તેનો સંકલ્પ આ પ્રોજેક્ટમાં જાેવા મળે છે. અનિલભાઈએ પિતૃ ઋણ, ગામનું અને માતૃ અને સંતાનનું ઋણ ચૂકવ્યું છે. નવસારી સહિત આસપાસના જિલ્લાઓને પણ આ આધુનિક હોસ્પિટલથી ઘણી મદદ મળશે. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન જનસેવા એ જ પ્રભુસેવાની સંસ્કૃતિને ઉજાગર કરવાનો આ પ્રસંગ છે. એક જ વર્ષના ટૂંકા ગાળામાં અદ્યતન આધૂનિક હોસ્પિટલ શરૂ થઈ છે તે માટે અભિનંદન. ગુજરાતમાં છેલ્લા ૨ દાયકામાં ગુજરાતમાં આરોગ્ય, સેવા અને હોસ્પિટલોનો વ્યાપ વધ્યો છે. ૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી નિરાલી હોસ્પિટલ દર્દીઓને સારી સેવા પૂરી પાડશે.
