આણંદ
આણંદ જિલ્લામાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમના આયોજન અર્થે આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના ઉપસ્થિતમાં ટાઉનહોલ ખાતે જિલ્લાની તમામ નગરપાલિકાઓ-જિલ્લા ,તાલુકા પંચાયતના પ્રમુખ અને પદાધિકારીઓની બેઠક મળી હતી. જિલ્લાના તમામ ઘરો સહિત, દુકાનો, સરકાર, અર્ધસરકારી કચેરીઓ સહિત ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજાે, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તા. રજી ઓગસ્ટના રોજ સવારના ૮ કલાકે કરમસદ સરદાર પટેલ મેમોરિયલ હોલથી આણંદ ટાઉન હોલ સુધી હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સાયકલોથોનમાં આણંદ શહેર સહિત જિલ્લાના નાગરિકોને જાેડાવા અપીલ કરી છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટરે નાગરિકોને પોતાના ઘર – મકાનો પર આગામી તા.૧૩ થી ૧૫ સુધી રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા ૪.૩૦ લાખથી વધુ ઘર – મકાનો પર ત્રિરંગો લહેરાશે.

