ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે છે. ત્યારે જિલ્લાના કુલ 1.86 લાખ જેટલાં ખેડૂતો પૈકીના 71 ટકા ખેડૂતોની e-KYCની કામગીરી ખતીવાડી વિભાગે પુર્ણ કરી દીધી છે. જ્યારે બાકી રહી ગયેલાં 54 હજાર જેેટલાં ખેડૂતોની e-KYCની કામગીરી પણ ટૂંક સમયમાં પુરી કરવા માટે સરકારમાંથી સૂચના અપાઇ છે.ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જે પૈકી એક યોજના છે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
ભરૂચજે કિસાન આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તે ખેડૂતોએ KYC કરાવવું જરૂરી છે. જે ખેડૂતોએ E-KYC કરાવ્યું નહીં હોય તે ખેડુતોને હવે પછીના બે હજારની સહાયના હપ્તા નહીં મળે. દરમિયાનમાં ભરૂચ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના 1,86,052 ખેડૂતો પૈકીના 1,31,670 ખેડૂતોની એટલે કે 71 ટકા ખેડૂતોની e-KYCની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે હજી 54,382 ખેડૂતોની e-KYCની કામગીરી બાકી છે. ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોની e-KYCની કામગીરી વહેલી તકે પુર્ણ કરવાની કવાયત હાથ ધરી છે.
ખેડૂતો બે રીતે પીએમ કિસાન યોજના માટે E-KYC કરાવી શકે છે. ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને E-KYC કરાવી શકે છે. આ સિવાય પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર ઘરે બેસીને E-KYC થઇ શકે છે. આ માટે આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. લિંક થયા બાદ લેપટોપ, મોબાઈલથી ઓટીપી દ્વારા KYC કરી શકો છો.
નેત્રંગ તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકાના વિસ્તરણ અધીકારી યોગેશ પવાર દ્વારા ગ્રામસેવકોની ટીમ સાથે નેત્રંગના તમામ ગામોમાં જે ખેડૂતો પ્રધાન મંત્રી કિસાન સન્માન નિઘી યોજનાનો રેગ્યુલર હપ્તો મેળવવવા માટે E-KYC કરવામાં બાકી રહી ગયા હોય તેમને રૂબરૂ મળી E-KYC કરવા માટે જાગૃત કરી રહ્યા છે.


