અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત સિંધવાઇ મંદિરે પરંપરાગત આઠમનો મેળો યોજાયો હતો. 52 ગામના વિવિધ જ્ઞાતિ લોકો હવનમાં શ્રીફળ હોમાવાના સમયે કુળદેવી સિદ્ધેશ્વરી માતાજીના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા.
અંકલેશ્વર ખાતે પ્રાચીન યાત્રાધામ પૈકી એક સિદ્ધેશ્વરી માતાજી મંદિર ખાતે ભાતીગળ મેળો યોજાય છે. બે વર્ષથી કોરોના કાળના કારણે ભાતીગળ મેળાની રોનક ઝાંખી પડી હતી. જોકે આ વર્ષે સરકારે આપેલી છૂટના કારણે નવરાત્રિના આઠમના રોજ ભાતીગળ મેળો યોજવામાં આવ્યો હતો. જ્યાં સાંજે 5 કલાકે હવનમાં નારિયેળની આહુતિ આપવામાં આવી હતી. અતિ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજી મંદિર અહીંના 52 ગામના વિવિધ જ્ઞાતિના સમાજની કુળદેવી છે. લોક વાયકા મુજબ ટેકરા પર બિરાજમાન માઁ સિદ્ધેશ્વરીના ગોખમાંથી એક સમયે નર્મદા નદી વહેતી જોવા મળતી હતી. પ્રાચીન કાળમાં ઋષિ મુનિ કપિલ અને યજ્ઞના પુત્રઓ દ્વારા તપ કરી માતાજીને રીઝવ્યા હતા. જેથી માતાજી અહીં સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે.
અહીંયા આદિ-અનાદિ કાળથી અહીં નવરાત્રિમાં ગરબા અને આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે, જે અહિયાની આગવી ઓળખ છે. માતાજી અહીં લોક કલ્યાણ અર્થે બિરાજમાન થયા છે. મંદિર અંદાજે 700 વર્ષ કરતા પણ જૂના હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધેશ્વરી મંદિર બાજુમાં 37 વર્ષ પૂર્વે યાત્રાધામ અંબાજીથી માતાજીની અખંડ જ્યોત લાવી અહીં શક્તિ ધામ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધેશ્વરી મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રિ દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે. જ્યારે રાત્રીના મંદિર ખાતે પરંપરાગત શેરી ગરબામાં ગ્રામજનો અને ભક્તો ગરબે ઘૂમી ધન્યતા અનુભવી રહ્યા છે.

