ભરૂચ
ગુજરાત માં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી રાજપીપળા ચોકડી નજીક હાઈવે ઉપરના ફ્લાય ઓવરબ્રિજ પર કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતની ઘટનામાં એક જ પરિવારની ૨ મહિલા સહિત ૧ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ કન્ટેનરનો ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષીય અખિલેશ સિંઘ તેની ભાભી પ્રિયંકા અજીત સિંઘ અને ભાભીની પિતરાઈ બહેન નિધિ વિલાસ ચૌધરીને બાઇક નંબર જીજે ૧૬.એ.સી.૧૩૮૦ ઉપર બેસાડી કીમ કોઠવા દરગાહ ખાતે ગયો હતો. જેઓ ત્યાંથી પરત આવી રહ્યા હતા, તે દરમિયાન રાજપીપળા ચોકડી પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનર નંબર – એ.પી.૧૨.એચ.૯૨૭૭ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ઉપર સવાર ત્રણેય નીચે પટકાયા હતા. નીચે પટકાયેલા બાઈકસવારો ઉપરથી કન્ટેનર ફરી વળતાં ત્રણેય કચડાઈ જવા પામ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિયર-ભાભી સહીત ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
