Gujarat

અડાજણના વેપારીને માર માર્યાના કેસમાં હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયો

સુરત
અડાજણમાં કરિયાણાના વેપારીને પોલીસ સ્ટેશને લઈ જવાનું કહી પાર્ટી પ્લોટની ઓફિસમાં લઈ જઈ ૨ પોલીસકર્મીએ ભાગીદાર સાથે માર માર્યો હતો. આ કેસમાં પોલીસ કમિશનરે ડીસીપીને તપાસનો આદેશ આપ્યો હતો. જેના આધારે અડાજણ પોલીસના હેડ.કોસ્ટેબ્લ શૈલેષ ગંગારામને સસ્પેન્ડ કર્યો છે. આ ઉપરાંત પીસીઆર વાનના પ્રાઇવેટ ડ્રાઇવર હાર્દિક ભોજકની સામે અલગથી કાર્યવાહી કરાશે એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અડાજણમાં કરિયાણાના વેપારી વિરુધ્ધ તેના ભાગીદાર મનીષે ૧૦ થી ૧૫ લાખનો કરિયાણાનો સામાન વેચી મારવાનો આરોપ મૂકી અડાજણ પોલીસમાં અરજી આપી હતી. આ અરજી બાબતે વેપારી દિનેશ કાનજી દેવાસીંગને પોલીસે પાલ ટીજીબી હોટેલની સામે કરિયાણાની દુકાન પરથી અડાજણ પોલીસની ૫૬ નંબરની પીસીઆર વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાની વાત કરી હતી. બાદમાં તેને અડાજણ કેનાલ રોડ પર પાર્ટી પ્લોટમાં ભાગીદારી ઓફિસે લઈ ગયા હતા. જ્યા ભાગીદાર મનીષ સાથે ૨ પોલીસકર્મીઓએ વેપારીને માર માર્યો હતો. બીજી તરફ વેપારીનો ભાઈ અને પરિવારજનો પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જાે કે વેપારી પોલીસ સ્ટેશનમાં ન દેખાતા હાજર પોલીસ ઓફિસરને વાત કરી હતી. ઓફિસરે વેપારીને લાવ્યા ન હોવાની વાત કરી હતી પછી વેપારીના ભાઈએ મોબાઇલ પર સંપર્ક કરતા પાર્ટી પ્લોટની ઓફિસમાં લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.ભાગીદાર અને બે પોલીસકર્મીઓએ તેને માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે સારવાર માટે વેપારીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં ખસેડાયો હતો. પોલીસ અધિકારીએ પ્રાઇવેટ ડ્રાઇવર સામે અલગથી કાર્યવાહી કરાશે એવું જણાવ્યું હતું. વેપારી દિનેશ દેવસીંગએ પોલીસ કમિશનરમાં અરજી આપી છે. અરજીમાં વેપારીએ મનીષ વાઘેલા, પોલીસકર્મી શૈલેષ તેમજ પીસીઆર વાનનો ચાલક હાર્દિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અરજીમાં વેપારીએ જણાવ્યું કે, ૨૪મી મે સાંજના સમયે દુકાન પરથી પોલીસકર્મી પીસીઆર વાનમાં બેસાડી બાગવાન પાર્ટી પ્લોટમાં લઈ ગયા હતા. જયા વેપારીને તેના જ ભાગીદાર અને બે પોલીસકર્મીઓએ લાકડાના ફટકા અને ચામડાના પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *