Gujarat

આસોદરિયા સામે ગુનો સાબિત થશે તો જ રાજીનામું મંગાશે ઃ જયેશ રાદડિયા

રાજકોટ
રાજકોટમાં વિરાણી અઘાટ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે આઇપીએલ ટી૨૦ મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહેલા બે શખ્સને ઝડપી લઇ તપાસ કરતાં સટ્ટો રમવા માટેની આઇ.ડી. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર મહેશ આસોદરિયા સહિત ત્રણના નામ ખુલ્યા હતા, આ મામલે રાજકારણ ગરમાયું હતું, પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આસોદરિયા સામે ગુનો સાબિત થશે તો જ તેનું રાજીનામું મગાશે તેમ કહી આસોદરિયાનો બચાવ કર્યો હતો, તો તેના હરીફ જૂથે રાદડિયાને ટાર્ગેટ કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજીબાજુ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન હરદેવસિંહ જાડેજા, રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા મેદાને ઉતર્યા હતા. આસોદરિયા રાજકીય કે સહકારી આગેવાન નહીં હોવા છતાં રાદડિયા તેને પ્રમોટ કરી રહ્યા છે, જાડેજાએ એમપણ કહ્યું હતું કે, જયેશ રાદડિયાને સહકારના ‘સ’ અને રાજકારણના ‘ર’ની ખબર પડતી નથી. ઢાંકેચાએ કહ્યું હતું કે, આસોદરિયાનું નામ મુકવામાં આવ્યું ત્યારે જ પ્રદેશ ભાજપ સુધી આસોદરિયાની અમે હકીકત જણાવી હતી. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આસોદરિયા સહિત ત્રણ વ્યક્તિના નામ ખુલ્યા છે તે ત્રણેયને ઝડપી લેવા બાતમીદારો અને મોબાઇલ લોકેશન સહિતના ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ રહી છે. ક્રિકેટ સટ્ટામાં મહેશ આસોદરિયાનું નામ પોલીસ તપાસમાં ખુલ્યું છે, આ બાબતને ગંભીરતાથી લઇ મહેશ આસોદરિયાનું રાજકોટ લોધિકા સંઘના ડિરેક્ટર પદેથી રાજીનામું લઇ લેવા માટે રાદડિયા અને આસોદરિયા બંનેને જાણ કરી દેવામાં આવી છે, આગામી ગણતરીના દિવસોમાં તેનું રાજીનામું લઇ અન્ય સભ્યના નામની જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *