હાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ રેલવે સ્ટેશન દ્વારા બનાવવામાં આવતી સૌરક્ષણ દીવાલ ત્યાં નજીકમાં આવેલ નવી નગરીમાં રહેતા ૬૦ જેટલા પરિવારોના ઘર આંગણે તદ્દન અડીને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અડધી સદીથી અહીં રહેતા પરિવારોના આંગણા છીનવાઈ જવાની ભીતિ તેઓને સતાવી રહી છે. કાલોલ તાલુકાના ડેરોલ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકને અડીને આવેલી નવી નગરીમાં પચાસેક વર્ષથી રહેતા ૬૦ જેટલા પરિવારોના માથે સંકટ આવ્યું છે. રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવતી સૌરક્ષણ દીવાલ અત્રે આવેલા મકાનોને તદ્દન અડીને બનાવવામાં આવતા અહીં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરની બહાર નીકળતા જ સીધી સૌરક્ષણ દીવાલ આવી જાય તો મકાનમાં આવવા જવા માટેની જગ્યા બંધ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. લગ્ન, મરણ કે જાેઈ સામાજિક પ્રસંગો કેવી રીતે કરવા તેને લઈને સૌ રહેવાસીઓ ચિંતિત બન્યા છે.રેલવે વિભાગ દ્વારા હાલ માપણી કરી ખોદકામ શરૂ કર્યું છે. કેટલાક મકાનોની આગળ ૧૦ ફૂટ જગ્યા રહે છે, તો કેટલાક મકાનોની આગળ માત્ર એક જ ફૂટ રહે છે. ડેરોલ સ્ટેશન ગ્રામપંચાયતમાં આવતા ૩૫૦ જેટલી વસ્તી અને ૧૫૦ જેટલા મતદારો ધરાવતી નવી નગરીના રહીશો રેલવે વિભાગની કામગીરીથી ચિંતિત બન્યા છે. વર્ષોથી રહેતા લોકોને મકાન આગળ માત્ર વાહનની અવર-જવર થઈ શકે એટલી જગ્યા આપવામાં આવે તેવી સ્થાનીક લોકોએ તંત્રને અપીલ કરી છે.
