અમદાવાદ
કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી. ત્રીજી લહેરમાં મોત વધ્યાં નથી, પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચીનમાંથી ફેલાયેલો કોરોના જ્યારે દેશ-વિદેશમાં નહોતો ફેલાયો ત્યારે પણ સરકારે ગંભીરતાથી કોરોનાને લીધો નહોતો. બીજી લહેરમાં રોગ ઘાતક બન્યો અને લાખો લોકો મર્યા છે. સરકાર ૧૦ હજાર લોકોનો આંકડો લઈને બેઠી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને નેતાઓએ ૩ લાખનો આંકડો આપ્યો હતો સુપ્રીમે સવાલો ઊભા કર્યા ત્યારે ૫૮ હજાર અરજી થઈ, ૧૫ હજાર પેન્ડિંગ છે અને ૧૧ હજાર અરજી પ્રોસેસમાં છે, ૫ હજાર નામંજૂર થઈ છે. અમે નામંજૂર થયેલી અરજીઓ પર સવાલ ઊભો કરીએ છીએ. જગદીશ ઠાકોરે પત્રકારેને જણાવ્યું હતું કે સરકાર સાચા આંકડા લાવતી નથી અને કોર્ટમાં માફી માંગે છે એ નહિ ચાલે. તમે આ સહાય આપો છો એ ઉપકાર નથી કરતાં. ડબ્લ્યુએચઓ સંસ્થા પણ કહે છે દેશમાં ૩૫થી ૪૦ લાખ મૃત્યુ થયાં છે પણ સરકાર માનતી નથી. કેટલાક લોકો ટેસ્ટ અને હોસ્પિટલમાં દાખલ થયા વગર કોરોનામાં મર્યા તેમને કઈ રીતે શોધાશે અને સહાય આપશે? સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે. જ્યારે સુપ્રીમકોર્ટ લપડાક આપે ત્યારે સરકાર સહાય આપે અને કામ કરે છે. અમે કોરોનાની ગાઈડલાઇન્સ અનુસરીને કોરોનાની સહાય માટે કલેકટર, મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપીશું.રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ અને સુરત સહિત હવે નાનાં શહેરોમાં પણ કોરોનાના કેસો મર્યાદા વટાવી રહ્યા છે. ત્યારે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાના જાહેર કાર્યક્રમો કરીને રાજકીય આક્ષેપો કરનાર કોંગ્રેસના નેતાઓએ એક લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ સ્ટેજ પર ઠૂમકા મારવામાં નીતિ-નિયમો ભૂલ્યાં હતાં. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોને તેમણે નેવે મૂકી દીધા હતા. એ ઉપરાંત લગ્ન પ્રસંગે સ્ટેજ પર ઉપસ્થિત રહેલા કોંગી નેતાઓના ઠૂમકા દરમિયાન રૂપિયા પણ ઊછળ્યા હતા.
