ગ્રામજનો દ્વારા કેસરિયા, વરસિંગપુર, દેલવાડા, આમોદ્રામાં વિકાસરથનું ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યું સ્વાગત.
ગિરગઢડા
ભરત ગંગદેવ.
૨૦ વર્ષનો વિશ્વાસ અને ૨૦ વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસયાત્રાનું આયોજન કરાયું છે. આ વિકાસયાત્રા અંતર્ગત ઉના તાલુકાના કેસરિયા, વરસિંગપુર, દેલવાડા, આમોદ્રા ગામે વિકાસરથનું આગમન થયું હતું. જ્યાં ગ્રામજનોએ ઉમળકાભેર રથને વધાવ્યો હતો.
વંદે ગુજરાત વિકાસયાત્રાના વિકાસરથનું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે આગમન થયું હતું. જ્યાં વૃક્ષારોપણ સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી. જ્યારે કેસરિયા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા લાપસી, ઢોકળા, વિવિધ જાતના ગાઠિયા વગેરે જેવી વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી અને વૃક્ષના છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વરસિંગપુર તેમજ આમોદ્રા સહિત ઉપરોક્ત તમામ ગામમાં ગ્રામજનોએ ગુજરાતના વિકાસની ૨૦ વર્ષની અમૂલ્ય સફરને નિહાળી હતી અને વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી.

