ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગૌવંશમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસિઝ એટલે કે ગઠ્ઠેદાર ચામડીના રોગ પ્રતિકારના પગલાં અને આગોતરી કામગીરી માટે ગીર સોમનાથ વહીવટી તંત્ર પણ અસરકારક રીતે કામગીરી કરી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધીમાં લમ્પી વાઈરસના કારણે એકપણ પશુનું મોત નથી થયું. પશુપાલન વિભાગ દ્વારા વેક્સીનેશનની ઝડપ પણ વધારવામાં આવી છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં ૮૫૪૬ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથના સિંગસરમાં ૯, પ્રાચીમાં ૪, પ્રભાસ પાટણમાં ૯ અને પ્રાસલીમાં ૨ પશુધનમાં લમ્પી વાઈરસ ફેલાયો છે. ઉપરોક્ત ચાર ગામના થઈને કુલ ૨૪ પશુઓમાં લમ્પી વાઈરસ ફેલાયો છે. આ તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. જેથી અન્ય પશુઓમાં રોગ વધુ ન ફેલાય. અસરગ્રસ્ત ગામ પૈકી સિંગસરમાં ૨૨૫, પ્રાસલીમાં ૨૯૫, પ્રાચીમાં ૨૭૦ તેમજ પ્રભાસપાટણમાં ૧૪૪૬ એમ કુલ ૭૧૩૬ પશુધનનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પશુઓના ગમાણ અને આસપાસના સ્થળોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. પશુપાલકોમાં લમ્પી સ્કિન ડિસિઝ અંગે જાગૃતિ ફેલાય, તેઓ વધુ માહિતગાર થાય અને રોગચાળો ફેલાતો અટકે ઉપરાંત રસીકરણ માટેની ટીમોનું સુચારૂ આયોજન કરી જ્યાં પશુધન વધુ હોય ત્યાં સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે.

