ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવની શ્રૃંખલાને કારણે શિક્ષણ માટેની ભૂખ સમાજમાં ઉભી થઇ છે. મુખ્યમંત્રી દીકરીને ભણાવવા માટેનું વચન લે એ કોઇ નાની સુની વાત નથી. આ કટિબધ્ધતા જ સમાજ નિર્માણની દિશા બને છે. રાજ્યમાં શિક્ષણના વધેલાં ફલકનો લાભ લઈને રાજ્યમાં યુવાનો ડિજિટલ દુનિયાના સથવારે નવા સ્વરૂપે સમાજ સામે આવે તેવા પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે. આ માટે શિક્ષણ વિભાગ કારકિર્દી નિર્માણ અને દુનિયામાં આવતી નવી વસ્તુઓના ઉમેરાં સાથે નવાં પોર્ટલની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત પણ શિક્ષણ મંત્રીએ કરી હતી. વિદ્યાર્થીઓ જગતની દોડમાં પાછળ રહી જાય અને કદમ સાથે કદમ મિલાવી શકે અને ‘સ્કાય ઇઝ ધી લિમિટ’ બની રહે તેવી વ્યવસ્થાઓ વિકસિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ આપતાં તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓમાં આવાં સેમિનારોથી કારકિર્દી ઘડવાં માટેની દિશા તો નક્કી કરી શકાય છે. આ ઉપરાંત તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય છે. આ આત્મવિશ્વાસ અને સાચી દિશાની મહેનત તેમને સફળતા તરફ દોરી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થી ‘જાેબ સિકર નહીં, જાેવ ગીવર’ બને તેના મૂળ પ્રાથમિક કક્ષાએથી જ કેળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી દ્વારા ‘માઈન્ડ ટુ માર્કેટ’ સુધી મદદરૂપ થવાનું તંત્ર વિકસિત કર્યું છે. અત્યારે રાજ્યની ૮ મહાનગરપાલિકામાં આ સેમિનારનું પ્રસારણ થઇ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના ૨૪૯ તાલુકાઓમાં કારકિર્દી સેમિનારોમાં તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપવાનાં છે. શિક્ષણ, શ્રમ અને રોજગાર, પશુપાલન વગેરે વિભાગોના સંકલન સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર ઉમરે સાચી દિશા પકડી શકાય તેનું સાચું અને યોગ્ય માર્ગદર્શન આવાં સેમિનારોથી મળે છે. ભૂતકાળમાં આવાં સાચા માર્ગદર્શનને પરિણામે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની યોગ્ય કારકિર્દી પસંદ કરી શક્યાં નહોતાં. હવે આ વાત ભૂતકાળ બની રહેવાની છે. ૨૫ વર્ષ પહેલા બાળકને બાવડું પકડીને શાળામાં મુકવાં જવું પડતું તેવી સ્થિતિ હતી. શિક્ષણની જાગૃતતાને કારણે તેની મહત્તા સમાજને સમજાઇ છે. અને નવી નવી વિકસિત થયેલી શાખાઓમાં જઇ શકાય તે માટેના માર્ગદર્શન માટે આ સેમિનારોનું આયોજન કર્યું છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓના વાલીને પોતાના બાળકોની કારકિર્દી વિશે જીજીવિષા, ઉત્કંઠા રહેતી હોય છે કે હવે શું થશે? પરંતુ આવાં સેમિનારોથી પ્રત્યક્ષ સાથોસાથ પરોક્ષ રીતે આત્મવિશ્વાસનું નિર્માણ થતું હોય છે. વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી ન થવાથી ભવિષ્યમાં કોઈ વસવસો રહે નહીં તે માટે નિષ્ણાતો સાથે સંવાદ થાય તેવું વ્યાપક આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. તેમણે કહ્યું કે, આઈ.ટી.આઈ., કૃષિ તથા આરોગ્ય ક્ષેત્રમાં અનેક શાખાઓ ખૂલી છે, પરંતુ તેનાં વિશેની જાણકારીના અભાવે તેમાં પ્રવેશ મેળવી શકાતો નથી. તેને ધ્યાનમાં રાખીને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ શાખાઓનું માર્ગદર્શન એક જ છત્ર તળે મળે આ ઉપરાંત તેનું સાહિત્ય પણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કારકિર્દીની ટોચ પર પહોંચવું હોય તો તે માટે પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવું પડે. દુનિયા ગમે તે કહે પરંતું તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં જશો તો તમે ચમકી જશો. તમે તમારી રસ અને ઋચી મુજબનું ક્ષેત્ર પસંદ કરો અને તમારી જાતને પ્રચંડ પુરુષાર્થ સાથે જાેડી દેશો તો સફળતા તમારા કદમ ચૂમશે. રસ અને ઋચી મુજબનું ક્ષેત્ર પસંદ નહીં કરો તો તમને સારો પગાર અને પેકેજ મળશે પરંતુ જીવનમાં સફળ નહીં થઈ શકો અને સાચા અર્થમાં જીવનનો આનંદ મેળવી શકશો નહીં.રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. વાઘાવાડી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કારકિર્દી અંગેના કાર્યક્રમની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લાં ૨૫ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરીને રાજ્યમાં શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરીને વિશ્વ ફલક સુધી જવાના દ્વાર યુવા પેઢી માટે ખોલી આપ્યાં છે.
