સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લામાં જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ખેતીકામમાં થયેલા નુકસાન અંગે વળતર ચૂકવવાની કાર્યવાહી હાથ ધરાયેલી છે. જેમાં 21,619 જેટલા ખેડૂતોને કુલ 17.91 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. જુલાઈ મહિનામાં સંખેડા સહિત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નસવાડી જેતપુર સહિતના તાલુકાઓમાં ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટિએ નદી કિનારાના વિસ્તારોમાં ખેતીના પાકોમાં ખૂબ મોટી તારાજી સર્જી હતી. જે અંગે સર્વે પણ હાથ ધરાયો હતો. બાદ સરકાર દ્વારા ચૂંટણીની પહેલાં જ આ અંગે વળતર ચૂકવવા માટેની જાહેરાત કરાઈ હતી. જેમાં સરકારે કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી કુણાલભાઈ પટેલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે આશરે 57,000 જેટલા ખેડૂતોનો સર્વે કરાયો હતો. જોકે તેમાંથી 37,000 જેટલા ખેડૂતોની એન્ટ્રી કરાઈ હતી. જેમાંથી કુલ 21619 ખેડૂતોને 17,91,67,454 રૂપિયા વળતર ચૂકવાયું છે. બાકી રહેલા ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
