જામનગર
ઉનાળાનું વેકેસન અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો દરિયા કિનારે, નદીમાં અને તળાવમાં ન્હાવા જાય છે. ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો એક પરીવાર પોતાના ખેતરે આંટો દેવા માટે ગયો હતો જયાં બાજુમાં આવેલા તળાવમાં એક યુવતિ પરીજનો સાથે ન્હાવા માટે ઉતર્યા બાદ ઉંડા પાણીમાં ડુબી જવાથી યુવતિનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. શહેરના દિગ્વિજય પ્લોટ-૫૮ વિસ્તારમાં રહેતા પબાભાઇ વેજાણંદભાઇ બોદર પોતાના પરીવાર સાથે લાલપુરના સેવક ભટીયા સીમની વાડીએ આંટો દેવા માટે ગયા હતા. મિતલબેન પબાભાઇ બોદર નામની યુવતિ અન્ય પરીજનો સાથે ન્હાવા માટે વાડી પાસેજ આવેલા તળાવમાં ઉતર્યા હતા. જે દરમિયાન એકાએક ઉંડા પાણીમાં મિતલબેન ડુબી ગયા હતા જે બનાવના પગલે પરીજનો સહિત સૌ કોઇએ ભારે બુમાબુમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. જાેકે,ઉંડા પાણીમાં ગરકાવ થયેલા મિતલબેન(ઉ.વ.૧૮)નુ ડુબી જવાથી મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.આ બનાવની લાલપુર પોલીસને જાણ થતા પોલીસ ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનુ પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે.જયારે પરીવારમાં પણ શોકનુ મોજુ છવાયુ છે.


