જામનગર
રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે જામનગરમાં આગામી ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જિલ્લામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદનના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર જિલ્લામાં આગામી તારીખ ૨૬મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે હાપા સ્થિત માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો સાથે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મળો યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે. ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભો મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. આ ઉપરાંત લાભાર્થીઓની કીટની ગુણવત્તા ચકાસણી અને કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સુચનો કર્યા હતા. તેમજ મેળાના સ્થળે કરવાની થતી અનુસંગિક વ્યવસ્થાઓ માટે પણ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં અધિક કલેક્ટર મિતેષ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ર્કિતન રાઠોડ, પ્રાંત અધિકારી સર્વ આસ્થા ડાંગર, ગોવાણી, ડોબરીયા, સાકરીયા, જિલ્લા પુરવઠા અધિકારી મકવાણા, માર્ગ મકાનના કા.પા.ઇ કટારમલ, એ.સી.એફ. રાધિકા પરસાણા, ચીફ ઓફિસરો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
