જેતપુરમાં નગરપાલિકાની ગર્લ્સ હાઈસ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીનીઓને અપશબ્દો કહ્યાં અભદ્ર વર્તન કરતા વાલીઓનો હોબાળો
વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો અભદ્ર વર્તન કરતા હોવાનો આક્ષેપ
કાર્યવાહીની માંગ સાથે વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ કર્યો હોબાળો તેમજ રેલી કાઢી
વિરોધ દરમિયાન ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું
જેતપુરની કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો પોતાની ગરીમા ભૂલ્યા હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કરવાનો શિક્ષકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી, વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ સ્કૂલમાં જઇને ભારે હોબાળો મચાવ્યો. વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
જેતપુર નગરપાલિકા સંચાલીત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીને પીટી શિક્ષકે અપશબ્દો કહેતા વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પીટીનાં શિક્ષક દ્વારા ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ ને અપશબ્દો બોલતા શિક્ષક સામે વિદ્યાર્થીનીઓએ રેલી યોજી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.
માહિતી મુજબ જેતપુરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત શહેરના મુખ્ય ચોકમાં આવેલી કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પીટી શિક્ષક વિરમ નંદાણીયા દ્વારા શનિવારના રોજ ધોરણ 11ની વિદ્યાર્થીનીઓને અપશબ્દ બોલતા વાલીઓ આજે સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બગડ્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક વિરૂધ્ધ સૂત્રોચાર કરી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચતા પોલીસ અને ABVPનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ABVPનાં કાર્યકર્તાઓને પોલીસે ડીટેન કરતા વિદ્યાર્થીનીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી શિક્ષક સામે તત્કાલિક પગલા લઈ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ મામલે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા નગરપાલિકામાં ચીફ ઓફિસરને આવેદન આપી શિક્ષકને તત્કાલિક સસ્પેન્ડ કરવા માંગ કરી હતી અને જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલાં લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરાતા વાલીઓ દ્વારા શાળામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. મહત્વનું છે કે, શિક્ષકોના અભદ્ર વર્તનને લઇને વિદ્યાર્થિનીઓએ અનેક વખત આચાર્યને ફરિયાદ પણ કરી હોવાનું કહેવાય છે. તેમ છતાં અનેક ફરિયાદ બાદ પણ શિક્ષક વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઇ. આ ઘટનાને લઇને ઉગ્ર રોષે ભરાયેલા વાલીઓ, વિદ્યાર્થીનીઓ અને ABVPના કાર્યકર્તાઓ જ્યારે ગર્લ્સ હાઇસ્કૂલ પહોંચ્યા હતા ત્યારે તેઓએ આવાં શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવાની પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી પરંતુ પ્રિન્સિપાલે આ ઘટનાને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આ ઘટના અંગે મને વિદ્યાર્થીનીઓએ કોઇ પણ જાતની રજૂઆત નથી કરી.’ આથી વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં આ બાબતે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
આથી, વિદ્યાર્થીનીઓ અને ABVP દ્વારા આ મામલે રેલી કાઢવામાં આવી. હતી ત્યારે પોલીસે abvp નાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. તદુપરાંત વાલીઓએ આ મામલે શિક્ષક નંદાણીયા વિરમભાઈ નારણભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષક સામે પૉસ્કો સહિતની ગંભીર કલમો દાખલ કરી તપાસ ની તજવીજ હાથ ધરી છે તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા ન.પાલિકામાં આવેદન પત્ર પણ પાઠવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે,પોલીસે તો તેમની કાર્યવાહી હાથ ધરી છે પરતું ન.પાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે.તે જોવાનું રહ્યું.
મહત્વનું છે કે, સમાજમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અનેક પ્રકારના સવાલો મનમાં ઉદભવતા હોય છે. જેમ કે, શિક્ષકો આખરે કેમ પોતાની મર્યાદા ભૂલી જાય છે?
જો દીકરીઓ સાથે આવું વર્તન થશે, તો દીકરીઓ અભ્યાસ કેવી રીતે કરશે? વિદ્યાર્થિની સાથે અભદ્ર વર્તન કરનારા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરાશે? આવાં શિક્ષકોને સસ્પેન્ડ કેમ નથી કરાતા? આખરે ક્યારે આવા લંપટ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે?