આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢની બહાઉદીન કોલેજથી સરદાર પટેલ સભા ગૃહ, કૃષિ યુનિવર્સિટી સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, શ્રી ઇન્દ્રભારતી બાપુ, ગીરનારના સંતો, પદાધિકારીઓ,અધિકારીઓ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા સહિતના વિવિધ વિભાગો દ્વારા હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર ઘર તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ, હોમગાર્ડ પોલીસ જવાનો, એનએસએસ, કેડેટ્સ એનસીસી કેડેટ્સ, સરકારી શાળા કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક કલાકારો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર કરતા જણાવ્યું હતું કે આજે હર ઘર તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ જોડાયા છે. જે આનંદની વાત છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ હર ધર તીરંગાના કાર્યક્રમમાં જોડાનાર છે ત્યારે આપણે સૌ પણ જોડાઈએ. ઘરે, ઓફિસે, દુકાને તિરંગો લહેરાવવા તેમણે લોકોનેઅનુરોધ કર્યો હતો.
ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા એ તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી લોકોને ઘરે-ઘરે તિરંગો લહેરાવવા જણાવ્યું હતું.
સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે દેશના સપૂતોએ પોતાની જાન ગુમાવીને આપણને મહામૂલ્ય આઝાદીમાં અપાવી છે ત્યારે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ. વડાપ્રધાન શ્રીના હર ઘર તિરંગા સૂત્રના સાચા અર્થમાં આપણે સૌ સાર્થક કરીએ.
શહેર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ નેશન ફર્સ્ટનો સંદેશ આપ્યો છે. ૭૫માં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દરેક જૂનાગઢ વાસીઓને ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શ્રી ભૂમિ કેશવાલાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજ, મનપા કમિશનર શ્રી રાજેશ તન્ના, ડીસીએફ શ્રી સુનિલ બેરવાલ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ, પ્રદીપભાઈ ખીમાણી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રા બાદ દેશભક્તિના ગીતો આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર પટેલ સભા ગૃહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં હર ઘર ત્રિરંગા ગીતનું લોન્ચિંગ તથા સંકલ્પ પત્રનું વાચન કરવામાં આવ્યું હતું.


