દાહોદ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પાતા ગામે પુત્રનું કેન્સરથી મોત થતા પિતા આઘાતમાં આવી ગયા હતા. જેથી પિતાએ પોતાના ઘરની આગળ આવેલા એક ઝાડમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈ પરિવારમા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સીંગવડ તાલુકાના પાતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પર્વતભાઈ તેરસીંગભાઈ પાંડોરના પુત્ર અમિતભાઈનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. પોતાના વહાલસોયા દીકરાનું કેન્સરની બીમારીથી મોત નિપજતા આઘાતમાં સરી પડેલા પિતા પર્વતભાઈએ પોતાના ઘરની પાસે આવેલા આંબાની ઝાડની ડાળીએ દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે પાતા ગામે નિશાળ ફળિયામાં રહેતા પુંજીબેન તેરસીંગભાઈ પાંડોરએ રણધીકપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.