દ્વારકા
હાલ ઠંડીની મૌસમ એટલે કે શીત ઋતુ ચાલી રહી છે. ત્યારે તેની માનવ જીવન પર ખૂબ અસર થતી હોય છે અને મનુષ્યો ઠંડીથી બચવા અનેક ઉપાયો કરતા હોય છે. ત્યારે યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં ભગવાન દ્વારીકાધીશને ઠંડી લાગે છે તે ભાવથી પૂજારી પરિવાર દ્વારા વિશેષ સેવા અને ઉપાયો કરવામાં આવે છે. ત્યારે દ્વારકા સ્થિત જગતમંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા બહારગામથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે. હાલ શિયાળાની મૌસમ ચાલુ થઈ છે. લોકો ગરમ વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા છે. ત્યારે ભગવાન દ્વારીકાધીશના પૂજારીઓ ભગવાનને શીત રાત્રિમાં ગરમ વસ્ત્રો પરિધાન કરાવે છે. સવારે મંગળા આરતી બાદ ભગવાનની સન્નમુખ ચાંદીની સગડીમાં તાપણું કરી ભગવાનને ઠંડીના લાગે તેવો ભાવ કરવામાં આવે છે. શીયાળાના સમયમાં અભિષેક સ્નાન બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમા સુંઠ, ધી, ગોળ, તજ, લવિંગ, જાવીત્રી, કસ્તુરી, કેશર, કાળી મુસરી, ધોળી મુસરી, બદામ, પીસ્તા, કાજુ ઠાકોરજીને ધરવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેશરયુક્ત દુધ ધરી ઠંડી ઓછી પડે તેવો ભાવ કરવામાં આવે છે. ભગવાનને ધરાતા રાજભોગમાં અડદીયા તેમજ રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો વગેરે ધરવામાં આવે છે. આવી જ રીતે સંધ્યા સમય બાદ શ્રીજીને ગરમ ઉનના કપડા, શાલની રજાઈ વગેરે પહેરાવી, સગડીનું તાપણું કરીને ભગવાનને પોઢાડવામાં આવે છે. આગામી વસંત પંચમીના જ્યારે ગ્રીષ્મ ઋતુની શરૂઆત સુધી આજ રીતે ભગવાનની સેવા પુજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે દ્વારકા આવતા પ્રવાસીઓ પણ ભગવાનને ગરમ વસ્ત્રોમાં પરિધાન જાેઈ આશ્ચર્ય ચકીત થાય છે. દરરોજ ભગવાનના આ સ્વરૂપ સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો દર્શન કરી પ્રભાવિત થાય છે. દ્વારકા જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવ્યો છે. જ્યાં મંગળવાર તારીખ ૨૦ ડિસેમ્બરના ધનુર્માસના રોજ મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ વાગ્યે, ઉત્થાપન સાંજે ૫ વાગ્યે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. આ ઉપરાંત મંગળવાર તારીખ ૩ જાન્યુઆરીના ધનુર્માસના રોજ મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ વાગ્યે, ઉત્થાપન સાંજે ૫ વાગ્યે તથા ત્યારબાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. આજ રીતે તારીખ ૧૦ તથા ૧૨ જાન્યુઆરી ધનુર્માસના રોજ પણ મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે, અનોસર સવારે ૧૦.૩૦ વાગ્યે ઉત્થાપન સાંજે ૫ વાગ્યા બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.


