સમગ્ર દેશમાં હરઘર નલ સે જલ યોજના અંતર્ગત પીવાનું પાણી પહોંચાડવા માટેની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે,સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહયા છે સાથે નલ સે જલ યોજના પાછળ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા છે ,પરંતુ અધિકારીઓ અને ઈજારદારો ની મિલી ભગત થી તદ્દન હલકી ગુણવત્તાની કામગીરી કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરવામાં આવી રહયા છે, ત્યારે ખુદ ભાજપના જ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે ગામની મુલાકાત લઈ અધિકારીઓની હાજરીમાં યોજનામાં કરાતા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. ગ્રામજનો ની ફરિયાદને લઈ કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાએ ગોજારીયા ગામની મુલાકાત લીધી અને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી જાહેરમાં જ કામની સમિક્ષા કરી, પિન્ટુભાઈ રાઠવાએ સ્ટેન્ડપોસ્ટ ને હાથ નો ઈશારો જ કરતાં સ્ટ્રક્ચર તૂટી પડ્યા હતાં તો સિમેન્ટ કોન્ક્રીટ પણ માટી જેમ ખરી પડ્યા હતા. જમીનમાં દબાવવામાં આવેલી પાણીની પાઈપમાં પણ કોઈ ધારાધોરણ જળવાયુ હોય તેવું દેખાયું ન હતું. તો ગોજારીયા ગામે 43 લાખના ખર્ચે થઈ રહેલી પાણીની કામગીરીના નાણાં પાણીમાં ગયા હોય તેવું સાબિત થઈ રહ્યું છે, એટલુંજ નહિ ખુદ ભાજપના જ કારોબારી અધ્યક્ષે સમગ્ર તાલુકામાં આધિકારીઓ અને ઈજારદારોની મિલીભગતથી આ રીતે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે
તો બીજીતરફ સ્થળ ઉપર હાજર જવાબદાર વાસમો વિભાગના અધિકારીએ કામગીરી હલકી ગુણવત્તાની થઈ હોવાનું કબુલ્યું હતું અને ઈજારદાર અને એસ.ઓ. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી હતી પરંતુ નિયમાનુસાર કામગીરી જો અધિકારીના સુપરવિઝન અને મોનીટરીંગ હેઠળ થઈ હોય તો આટલા મોટપાયે ભ્રષ્ટાચાર કેવી રીતે શક્ય છે ? તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.નવી યોજના ની કામગીરી શરૂ કરાતા જૂની યોજનાની ટાંકી પણ તોડી પડાઈ અને તેને લઈ અગાઉ મળતું પાણી પણ બંધ થઈ ગયું અને નવી લાઇન દ્વારા પાણી મળે તે પહેલાજ તેના સ્ટ્રકચર તૂટી ગયા જેને લઈ ગામલોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર