પટના
પટનામાં દાનાપુરમાં સ્કૂલની શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. આ શિક્ષિકા આર્મી સ્કુલની ટીચર હતી. શિક્ષિકાને તેના સાસરિયાઓના ત્રાસ આપતા હતા અને વૈભવી કારની માંગણી કરતાં હતા. જેનાથી કંટાળીને તેણે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યુ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મૃતકનું નામ શાલિની તિવારી છે. તે દાનાપુર આર્મી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને ખગૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આરપીએસ રોડના મુંડેશ્વરી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૫માં રહેતી હતી. મૃતક શિક્ષિકા બિહટા નિવાસી રાજાપુરના રહેવાસી રાહુલ કુમાર ત્રિપાઠીની પત્ની હતી. શાલિનીએ ફ્લેટના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. પરિવારને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું, તેમ છતાં તેનો જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃતકના ભાઈ શિવમ કુમારે જણાવ્યું હતું કે, પતિ અને સાસરિયાઓ દ્વારા લક્ઝરી કારની વારંવાર માંગણી કરવામાં આવતી હતી અને બહેન શાલિની તેને વારંવાર આ વાત કહેતી હતી. એટલે કે સાસરિયા દ્વારા માંગણીઓ કરવામાં આવતી હતી જેના કારણે શાલિનીએ જીવન ટુંકાવ્યુ તેમ કહેવાઇ રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા શાલિનીના લગ્ન બિહટાના રહેવાસી રાહુલ કુમાર ત્રિપાઠી સાથે થયા હતા. મૃતક શાલિનીના ભાઇએ જણાવ્યુ કે, લગ્ન બાદથી જ સાસરિયાઓ તેને સતત હેરાન કરતા હતા અને લક્ઝરી કારની માંગણી કરતા હતા. આ માંગણી પૂરી ન કરવા બદલ તેને વારંવાર માર મારવામાં આવ્યો હતો અને ધમકીઓ પણ આપવામાં આવી હતી. શિવમના કહેવા પ્રમાણે, તેની બહેન શાલિની પીએચડી કરવા માંગતી હતી અને પ્રોફેસર બનવા માંગતી હતી. આત્મહત્યાના આ કેસમાં શાલિનીના ભાઈએ શાસ્ત્રીનગરમાં કેસ નોંધાવ્યો છે. શાલિનીના પતિ રાહુલ કુમાર, સસરા વિમલ કુમાર ત્રિપાઠી, સાસુ મમતા દેવી, દેવર રોહિત કુમાર ત્રિપાઠી , નણંદ ખુશ્બુ ત્રિપાઠી પર દહેજ માટે ત્રાસ અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ખગૌલ પોલીસ સ્ટેશનમાં દહેજ હત્યાનો કેસ નોંધાયો છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
