મુંબઈ
માતા પિતા પોતાના બાળકોને સફળતાના શિખરે પહોંચાડવા માટે અનેક બલિદાનો આપતા હોય છે. પરંતુ આજના આ કળિયુગમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે બાળકો મોટા થઈને સફળતાના શિખરે તો પહોંચે છે પરંતુ ત્યાં પહોંચાડનારા માતા પિતાને પછી ભૂલી જાય છે અને જીવનની સંધ્યા આરે ઊભેલા આ માતા પિતાને એકલતાનો તાપ સહન કરવો પડે છે. માતા પિતા કરી પણ શું શકે? પરંતુ અહીં એક એવો નોખો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમે દંગ રહી જશો. એક વૃદ્ધ દંપત્તિ તેના પુત્ર અને વહુને કોર્ટમાં ઢસડી ગયું છે. કારણ પણ એવું કે માન્યમાં નહીં આવે. વૃદ્ધ દંપત્તિ એસ આર પ્રસાદ અને તેમના પત્નીએ પોતાના વંશવેલાને આગળ વધારવા માટે પુત્ર અને વહુને કોર્ટમાં ઢસડી ગયા છે. તેમનું કહેવું છે કે પુત્રને ભણાવવા માટે અને અમેરિકામાં ટ્રેનિંગ અપાવવા માટે તેમણે પોતાની બધી કમાણી ખર્ચી નાખી. હવે તેમની પાસે કશું વધ્યું નથી. પુત્રના બાળકો સાથે વૃદ્ધાવસ્થા સારી રીતે વીતશે એ આશાએ પુત્રના ૨૦૧૬માં લગ્ન કર્યા પરંતુ લગ્ન પછી પુત્ર અને વહુએ એકલા છોડી દીધા. તેમનું કહેવું છે કે તેમણે બેંકમાંથી લોન લઈને ઘર બનાવ્યું. તેઓ આર્થિક અને વ્યક્તિગત રીતે હેરાન પરેશાન થઈ ગયા છે. આથી હવે આ દંપત્તિએ પોતાના જ પુત્ર અને વહુ પાસે વળતર માંગ્યું છે. એ પણ કોઈ બે પાંચ લાખનું વળતર નહીં પરંતુ અઢી-અઢી કરોડનું એટલે કે કુલ પાંચ કરોડનું વળતર. કોર્ટમાં દંપત્તિએ વળતરની માંગણી કરતા કહ્યું છે કે કાં તો બાળક કરો નહીં તો ૫ લાખ વળતર આપો. કોર્ટમાં આ કેસ પર ૧૭મી મેના રોજ સુનાવણી થશે. આ બાજુ અરજીકર્તા એસ આર પ્રસાદના વકીલે પુત્ર વિરુદ્ધની આ અરજીમાં કહ્યું છે કે આ કેસ એ હાલના સમાજની સચ્ચાઈ દર્શાવે છે. વકીલના જણાવ્યાં મુજબ પીડિત વૃદ્ધ દંપત્તિનું કહેવું છે કે તેમણે પણ દરેક માતા પિતાની જેમ બાળકોમાં રોકાણ કર્યું, સમાજમાં જીવવા લાયક બનાવ્યા. પરંતુ તેમણે જ્યારે તેમને તરછોડી દીધા તો તેમની પાસે બીજાે કોઈ વિકલ્પ જ ન રહ્યો.
