છોટાઉદેપુર જીલ્લામાં ખેડુતો દ્વારા ટામેટાનો પાક કરવામાં આવ્યો અને હાલમાં ટામેટાનો પાક તૈયાર છે ત્યારે ટામેટાનો ભાવ તળીયે જતાં ખેતરોમાં કાળી મજુરીની સાથે મોંઘાદાટ બીયારણ તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ ખર્ચનું વળતર પણ નહીં મળતાં ખેડુતોને ભારે આર્થીક ફટકો પડયો છે.
જિલ્લામાં ખેડુતો અંદાજે 4770 હેકટરમાં ટામેટાની ખેતી કરી છે. પરંતુ હાલ ટામેટાનાં ભાવ તળીયે ગયાં છે જેના કારણે ખેડુતોને 10 થી 15 રૂ. પ્રતીકીલોની પડતરમાં પડતાં ટામેટાનો ભાવ બજારમાં પ્રતીકીલો 3 થી 4 રૂ. થઈ જતાં ખેડુતોને તેઓની મહેનત અને કરેલા ખર્ચનું પણ વળતર મળતું નથી. મોંઘી ખેતી અને તનતોડ મહેનત બાદ ખેતરમાં તૈયાર થયેલા ટામેટા ખેતરમાંથી બજાર સુધી લઈ જવા પાછળ ખેડુતોને એક બોક્સ પાછળ 60 થી 70 રૂ.નો ખર્ચો આવે છે. જેની સામે ખેડુતોને માત્ર સરભર અથવા તેનાથી પણ ઓછો ભાવ મળે છે. ફક્ત પેકીંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાદ કરતાં ખેડૂતો પાસે કાઈ બચતુ નથી તો ખાતર, બિયારણ, મજૂરી અને મહેનત ના ખર્ચ નું વળતર ક્યાંથી કાઢવુ. છોટાઉદેપુર તાલુકાના આદિવાસી ખેડૂતો છેક વડોદરા માર્કેટ સુધી જવાનું પણ ટાળી રહ્યા છે. દેવાના ડુંગરે દબાયેલા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોની ચિંતા નો દાવો કરતી સરકાર પાસે ટામેટા અને અન્ય શાકભાજીના ભાવો ઉપર કોઈ નિયંત્રણ જ નથી. તેવામાં સરકાર અન્ય પાકોની જેમ શાકભાજીમાં પણ msp લાવે તેવી ખેડૂતો મંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


