જામનગરના ટાઉનહોલમાં પશુપાલન ખાતાનો રાજ્યકક્ષાનો પુરસ્કાર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક તરીકે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના પશુપાલક ઝાલા વિજયસિંહ નરેન્દ્રસિંહની પસંદગી થતાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તેમને રૂ.૫૦ હજારનો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ તકે પશુપાલક ઝાલા વિજયસિંહ નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં ધનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક તરીકે મે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સિદ્ધપૂરમાં મારી ગૌધામ ગૌશાળા છે. જેમાં ૬૦ જેટલી ગીર ગાયો છે. પશુપાલનના આ વ્યવસાય મારફતે તેમજ ગૌમૂત્ર અને ગોબરમાંથી વિવિધ ૩૦ જેટલી પ્રોડક્ટ બનાવી તેના વેચાણ થકી દર મહિને હું રૂ.૪લાખની આવક મેળવી સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી પશુપાલનનો વ્યવસાય કરી દિવ્યાંગ હોવા છતાં હું આત્મનિર્ભર બન્યો છું. સરકાર દ્વારા મારી શ્રેષ્ઠ પશુપાલક તરીકે પ્રથમ ક્રમે પસંદગી કરવામાં આવતા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રૂ.૫૦ હજારનો ચેક અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરતાં હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.


