બહુચરાજી
શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈને લઇ છેલ્લા ૭ વર્ષથી ચાલતા વિવાદને દૂર કરવા આખા મંદિરને નવેસથી રીડેવલપ કરી મુખ્ય શિખરની ઊંચાઈ ૫૬ ફૂટ કરવાનો ઐતિહાસિક ર્નિણય કરાયો છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટની ડેવલપમેન્ટ ઓફ બહુચરાજી ટેમ્પલ અંગેની મિટિંગ સોમવારે મળી હતી જેમાં શિખર ઉંચાઈ સહિત બહુચરાજી મંદિરનો ‘બી’માંથી ‘એ’ કેટેગરીમાં સમાવેશ કરી અંબાજી અને સોમનાથની જેમ વિકાસ કરવા સહિત અનેક લોકોપયોગી ર્નિણય નવરચિત બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠકમાં લેવાતાં સમગ્ર ચુંવાળ પંથકના શ્રદ્ધાળઓમાં આનંદની લાગણી પ્રસરી છે. બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટની મિટીંગ મહેસાણા કલેક્ટર કચેરીમાં ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન વ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને, ટ્રસ્ટીઓ યજ્ઞેશ દવે, બળવંતસિંહ રાજપુત, જયશ્રીબેન પટેલ, કિરીટભાઈ પટેલ સહિતની હાજરીમાં મળી હતી.

