Gujarat

બી.કોમ. અને સીએની પરીક્ષા સાથે,વિદ્યાર્થીઓ મૂંઝાયા

રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૨૧ નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓની તારીખ બદલીને ૧૩ ડિસેમ્બરથી યોજવાનું નક્કી કર્યું છે, પરંતુ સીએ ફાઉન્ડેશનના કોર્સની પરીક્ષા પણ ૧૪ ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિદ્યાર્થીઓ સીએની સાથે સાથે બી.કોમ. સહિતના અભ્યાસક્રમ પણ ભણતા હોય છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સીએ ફાઉન્ડેશન બંનેની પરીક્ષા એકસાથે નક્કી થતા વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા છે. સીએ અને બી.કોમ. ભણતા વિદ્યાર્થીઓ માટે બંને પરીક્ષા મહત્ત્વની હોય સીએની પરીક્ષા ત્રણ મહિના અગાઉ નક્કી થઇ હોય યુનિવર્સિટીની પરીક્ષાની તારીખમાં બદલાવ કરવા વિદ્યાર્થીઓની માગણી છે. સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આ વર્ષે ૧૪, ૧૬, ૧૮ અને ૨૦ ડિસેમ્બરે લેવામાં આવશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આ અંગે જણાવાયું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજના પ્રથમ વર્ષની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરી અને જે પરીક્ષા ૨૧ નવેમ્બરના શરૂ થવાની હતી, તેને ચૂંટણીના કારણે પાછળ લઈ, ૧૩ ડિસેમ્બર કરી છે. રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા સીએ ફાઉન્ડેશન પણ આ જ તારીખોમાં ૧૪ ડિસેમ્બરથી શરૂ થવાની છે. વિદ્યાર્થીઓ સીએની સાથે સાથે બી.કોમ. પણ કરતા જ હોય છે. બંનેની તારીખો એક જ હોવાથી, સીએ સાથે બી.કોમ. કરતા વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી છે. આગામી તારીખ ૧૪ ડિસેમ્બરથી રાજકોટ સહિત રાજ્યના ૨૦ જિલ્લામાં સીએ ફાઉન્ડેશનની પરીક્ષાનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, ભુજ, ગાંધીધામ, ગાંધીનગર, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, નડિયાદ, નવસારી, પાલનપુર, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા અને વાપીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપશે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *