ભાવનગર
ભાવનગરમાં શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો સન્માન સમારોહ યોજાયો હતો. ગુજરાતના મુઠ્ઠી ઉંચેરા લોક સેવક અને શિશુવિહાર સંસ્થાના સ્થાપક માન ભટ્ટની સ્મૃતિમાં સતત ૩૨મો નાગરિક સન્માન સમારોહ થયો હતો. મોરારીબાપુની અધ્યક્ષતામાં નાગરિક સન્માન સમારોહમાં અમદાવાદના પોલિયો ફાઉન્ડેશનના સ્થાપક અને સર્જન ડો. ભરત ભગત તેમજ દેશના છેવાડેના આદિવાસી ગરીબ ભાઈ-બહેનોની સેવાર્થે અમેરિકાથી પરત આવી દાહોદના અંતરિયાળ વિસ્તાર બાળ રોગ માટે હોસ્પિટલ ચલાવતા ડૉ. શ્રેયા શાહ તથા ગુજરાત રાજ્ય શિક્ષણ અને તાલીમ ભવનના પૂર્વ નિયામક ડૉ. નલિન પંડિત તથા પેરેન્ટિગ ફોર પીસની રાજ્ય વ્યાપી મુવમેન્ટના કન્વિનર પ્રાધ્યાપક ડૉ. છાયા પારેખનું બાળવિકાસ માટેની ખેવનાઓનું મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રતિકારભર્યો પુરુષાર્થ કરતા રહી પ્રભુ પ્રીત્યર્થે માનવસેવામાં વ્યસ્ત ગુજરાતના પ્રતિભા સંપન્ન નાગરિકોના સન્માનનો વર્ષ ૧૯૯૧થી પ્રારંભયેલ સદવિચારને ભાવનગરની સંસ્કાર ભૂમિથી આગળ વધારતા ચિત્રકૂટધામ તેમજ શિશુવિહાર દ્વારા પ્રત્યેકને રૂ. ૫૦ હજાર, ખેસ, સ્મૃતિચિન્હથી વંદના કરવામાં આવી હતી. મોરારિબાપુના સાનિધ્યમાં યોજાતા સમારોહ પ્રસંગે શિશુવિહાર સંસ્થા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૦૯થી ચાલતી બાળ પુસ્તકાલય પ્રવૃત્તિ અંતર્ગત તમામ શાળાઓમાં ૧૦૦ પુસ્તકોનો સંપુટ અને જરૂરિયાતમંદ ૧૭૦૦ વિધાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો અને વયસ્કોની દ્રષ્ટિ ચકાસણી કાર્યમાં અનન્ય સેવા આપનાર સુધા કનુ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને માતૃભાષા સંવર્ધન માટે કાર્યરત સ્વ.અનિલ શ્રીધરાણી પરિવારે સંસ્થાને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાવનગરથી રક્તદાન, ચક્ષુદાન જેવી પુણ્ય પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તારનાર પૂજ્ય માન ભટ્ટની સ્મૃતિમાં ૧૦૦થી વધુ શ્રેષ્ઠ નાગરિકોનું અભિવાદન થયું છે. આ પ્રસંગે ગુજરાતના વિવિધ સામયિકોમાં પ્રકાશિત શિશુવિહારની પ્રવૃત્તિઓના લેખોનું સંકલન પુસ્તક ‘શિશુવિહારનું નવચેતન’નું વિમોચન મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખ રૂપ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહનું સંકલન સાગર દવે તથા સંસ્થાના કાર્યકરોએ કર્યું હતું.


